વચન વિધિ

કડવું – ૩૨

વચનદ્રોહીની વાત સાંભળીજી, વચનમાં રે’જો સહુ જન મળીજી

નહિ તો વાત બગડશે સઘળીજી, કે’શો કેમ કહ્યું નહિ વે’લું તે વળીજી

વળી વળી વાત વર્ણવી, વિમુખની વારમવાર ॥

તે સરવે સાચી માનજો, જૂઠી જાણશો મા જવભાર1 ॥૨॥

માની ઈરષ્યાવાનની, સંત અસંતની વાત વર્ણવી ॥

તે પ્રસિદ્ધ છે પુરાણમાં, નથી કહી કાંઈ એ નવી ॥૩॥

જે જે ગયા જમપુરીએ, તે તો વિમુખને વચને કરી ॥

માટે સમજુ સમજી, મેલો પાપીને પરહરી ॥૪॥

ભોળા મનુષ્યને ભોળવી, વળી ફાંસી નાંખશે કોટમાં ॥

જીવ બિચારા જીવિતવ્ય હારી,2 ખ્વાર3 થાય છે ખરી ખોટમાં ॥૫॥

એટલા માટે ઓળખાવિયું, વિમુખનું વિઘન વળી ॥

સહુ જન એ સાવચેત રે’જો, શીખની4 વાત આવી સાંભળી ॥૬॥

જેમ છે તેમ જણાવિયું, સર્વે વાતનું સ્વરૂપ ॥

હિતકારી છે હરિજનને, છે વિમુખને વિષરૂપ ॥૭॥

પૂરણ સુખને પામવા, ઇચ્છા કરે કોઈ ઉર ॥

નિષ્કુળાનંદ તે જનને, જોઈએ જાણવું આટલું જરૂર ॥૮॥

 

પદ – ૮

રાગ: ધોળ (‘મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ)

જ્યાન5 છે જરૂર તે જાણજો, વસતાં તે વિમુખની પાસ રે;

આળ આવી ચડે અણચિંતવી, થઈ જાયે ધર્મનો નાશ રે. જ્યાન૦ ॥૧॥

વિમુખ આપે છે પાંતી6 પાપમાં, ભોળવીને કરે ભાગદાર રે;

અણકર્યું પડે આવી ઉપરે, ચાલતાં મારગે ચોર હાર7 રે. જ્યાન૦ ॥૨॥

ન હોય ઘાટ એવો ઘટમાં, થાવા વળી વચનથી બા’ર રે;

વિમુખની વાત ઉર ઊતરે, તો થાયે પાપમાંહી પ્યાર રે. જ્યાન૦ ॥૩॥

પછી અટક8 ન રહે આજ્ઞાતણી, રાખે જ્યાં ત્યાં ન રે’વાય રે;

નિષ્કુળાનંદ કહે તે નર નિશ્ચે, માનો ખરો મનમુખી થાય રે. જ્યાન૦ ॥૪॥

કડવું 🏠 home