સ્નેહગીતા

કડવું ૭

વ્રજ વનિતાના પ્રેમને જોવા વળીજી, વાલ્યમે વગાડિ વનમાંયે વાંસળીજી ।

સુણી સર્વ સુંદરી મોહનને જૈ મળીજી, એક રહી આવરી1 નવ શકી નીકળીજી ॥૧॥

નીકળી નવ શકી સુંદરી, ગોપી ઘેરીને2 ઘાલી ઘરમાં ।

દેહ ગેહમાં3 ગ્રહી4 ઘાલ્યું, પણ પ્રાણ કાંઈ છે તેના કરમાં ॥૨॥

તેહને વિરહ ઊપન્યો અંગમાં, વળી વિયોગ રોગ વાધ્યો ઘણું ।

આ સમે હું તો રહી અમથી, અહો અભાગ્ય એવું મુજતણું ॥૩॥

એમ સ્નેહમાં શોચે5 ઘણું, વનિતા કહે રહી વાંસળ્યે ।

પછી મેલ્યું દેહ મંદિરમાંયે,6 પ્રાણ પો’તા7 પિયુને પાસળ્યે ॥૪॥

એહ રીતે પો’તી અબળા, મોહનજી સંગે જૈ મળી ।

ભૌતિક દેહનું ભાન ભૂલી, અતિવાક્ય8 દેહ પામી વળી ॥૫॥

પ્રેમી જનનું એહ પારખું, પ્રીતમ વિના પળમાં મરે ।

પિયુ વિયોગે પ્રાણ રહે, તે સ્નેહ શઠ સાને કરે ॥૬॥

પ્રીતની તો રીત એહવી, જેના પ્રીતમ સાથે પ્રાણ છે ।

જીવન વિના જરૂર જેને, પંડ્ય પાડવું પ્રમાણ છે ॥૭॥

ધન્ય એ નારી પ્રેમ પ્યારી, જેણે વા’લા વિયોગે તન ત્યાગિયું ।

અલ્પ સુખની આશા મેલી, મન મોહનજીશું લાગિયું ॥૮॥

એવા જનથી અર્ધ ઘડી, વાલમ ન રહે વેગળા ।

હેતે હળ્યા રહે મળ્યા, જો અંગે હોય કોયે અબળા ॥૯॥

શું થાયે કૈયે હેત જો હૈયે, અને પ્રેમ વિના તો સૂકું સરે9

નિષ્કુળાનંદ સર્વે સાધન, સ્નેહી સમતા કોણ કરે ॥૧૦॥ કડવું ॥૭॥

કડવું 🏠 home