સ્નેહગીતા

કડવું ૩૧

ઉદ્ધવજી તમે એશું બોલીયુંજી, અમને એ કહ્યું તમે અણતોળિયુંજી1

ભાઈ અમને ભામિનીને2 શીદ પાડો છો ભૂલીયુંજી, છતે કંથે3 છાર4 કો’ને કેણે ચોળીયુંજી ॥૧॥

છાર ન ચોળ્યું છતે ધણીએ, એતો વિધવા કેરો વેપાર છે ।

કંથ વિયોગી અંતર રોગી, તેને ભૂંસવી ભલી છાર છે ॥૨॥

વળી નર કોઈ નિરભાગી, સુત વિત્ત દારાનો દુઃખિયો ।

તેહ જોગ લઈને જાય જંગલે, થાવાનો કોઈ સ્થળે સુખિયો ॥૩॥

વળી ભવવૈભવ5 જેને હોય વા’લા, તે તો એક બ્રહ્મ કહી ઉચ્ચરે ।

ભાય ઉભયભ્રષ્ટ થઈને, પછી મનમાન્યા વિષય કરે ॥૪॥

વળી ધણી વિના જે ધ્યાન ધરે, તે તો કોઈકનું ઘર ઘાલવા ।

જેમ આંખ્ય મીંચી બેસે બલાઈ,6 તે તો ઝડપી ઉંદરને ઝાલવા ॥૫॥

ડગમગ દિલ ચળ7 ચિત્તવાળા, જેને પ્રતીતિ નહિ પ્રગટતણી ।

તે તો વણ કહ્યે વેપાર એહવો, ભાઈ ધાઈને કરશે તેનો ધણી ॥૬॥

ઉદ્ધવજી તમે કહ્યું જે અમને, તેમાં સાર ન દીઠો કાંઈ શોધતાં ।

અમને કહ્યું એવું જે જ્ઞાન, તમને કેટલું થયું પરમોદતાં8 ॥૭॥

બહુ સાધને સાધ્યું હશે, ઉદ્ધવજી એવું જ્ઞાન ।

આટલા દિવસ આવા9 વેષનું, કેમ અળગું ન કર્યું અજ્ઞાન ॥૮॥

બીજાને તો જોગ ધરાવો, ભાઈ તમે તે ભોગી કેમ રહ્યા ।

અમે કંગાલની ઉપરે, છેક ન થઈએ નિર્દયા ॥૯॥

એવા સંદેશા સાટે ઉદ્ધવ, કેમ ના’ણ્યો કૂપ10 વિષનો ભરી।

નિષ્કુળાનંદના નાથનું મોકલ્યું, ખાત અમે ખાંતે કરી ॥૧૦॥ કડવું ॥૩૧॥

કડવું 🏠 home