સ્નેહગીતા

કડવું ૩૪

ઉદ્ધવજી એહની વાત કહું કથીજી, કોઈ રીતે કૃષ્ણમાંહિ જો કાચું નથીજી ।

અમે તો વિચાર્યું અમારા મનથીજી, અર્થ સારી ગયા એહ આપ સ્વારથીજી ॥૧॥

અર્થ સારી અલબેલડો, અળગા જાઈને એહ રહ્યા ।

વિયોગે અમે વિલખી વિલખી, શરીરના સુખથી ગયા ॥૨॥

જેમ પુષ્પની વાસ લઈ વેગળો, અલિ1 ઊડીને આઘો ફરે ।

જમ ફળ ખાઈ ખગ તજે તરુ, તેમ કૃષ્ણજી પણ એમ કરે ॥૩॥

દાહક2 વનને જેમ મૃગ મેલે, વિન તેજ રાજન રૈયત3 તજે ।

જેમ નિર્ધન પુરુષ પરહરે પુંશ્ચલી,4 એમ અમને તજ્યાં બાંધી ધ્વજે ॥૪॥

જેમ સૂકા સરને5 પરહરીને, મેલીને જાય છે મરાલ6

જેમ ભીક્ષા લઈને તજે ભુવન ભીક્ષુ, એવો નેહ કરે નંદલાલ ॥૫॥

વિદ્યાર્થી જેમ વિદ્યા ભણીને, વળી તજે છે વિદ્યાવાનજી7

જેમ દક્ષિણા લઈ યજમાન તજે, તેમ કરે છે એહ કાનજી ॥૬॥

એમ અમને પરહર્યાં, અલબેલે ઉદ્ધવ આજ રે ।

અમારું સુખ રાખ્યું અધૂરું, એણે સાર્યું એનું કાજ રે ॥૭॥

હવે છેટે રહી છેદે છે છાતી, દૂર રહીને દિયે છે દુઃખજી ।

પ્રીત કરી પ્રાણ હરિ મેલ્યા, પછી શાનું રહે હવે સુખજી ॥૮॥

સુતાં બેઠાં સ્નેહ સાલે, પળે પળે પિંડ ઘણું પરજળે8

ઉદ્ધવજી અંતરની વાતો, તે બા’રે બીજું કોણ કળે ॥૯॥

ભરી કસી બાણ ભીંતરે, માર્યાં છે એણે મર્મનાં ।

નિષ્કુળાનંદના નાથે અમને, ટાળ્યાં લોક કુળ ધર્મનાં ॥૧૦॥ કડવું ॥૩૪॥

કડવું 🏠 home