સ્નેહગીતા

કડવું ૨૭

શ્રીકૃષ્ણે કહ્યું તે શ્રવણે સાંભળીજી, પછી પ્રભુ પાયે ઉદ્ધવ લાગ્યા લળીજી ।

ચરણ ચિંતવી ચાલ્યા વ્રજમાં વળીજી, સંધ્યા સમે આવિયા ગોકુળની ગલીજી ॥૧॥

ગોકુળ ગામની ગલીએ આવી, નંદને ભવન રથ છોડિયો ।

મળી લળી નંદપાયે લાગ્યા, વળી કરપુટ1 તે જોડિયો ॥૨॥

ત્યારે નંદ કહે કૃતારથ કીધો, ઉદ્ધવજી ભલે આવિયા ।

આજ ભાગ્ય જાણું અમારાં, તમે આવતાં ઉદે થયાં ॥૩॥

આજ કષ્ટ મટ્યાં અમારાં, તમે પધારિયા પ્રેમે કરી ।

રામ કૃષ્ણ બંધવ બેઉની, ખબર અમને આપો ખરી ॥૪॥

કુશળ છે બળ કૃષ્ણ બેઉ મળી, વીરા કરો એહ વારતા ।

અમે દોયે રંકને વળી, કંઈએ કૃષ્ણજી સંભારતા ॥૫॥

એવું સુણીને ઉદ્ધવ પાયે, લાગ્યા તે જશોદા નંદને ।

અર્ધક્ષણ ગુણ તમારા, નથી વિસરતા ગોવિંદને ॥૬॥

વળી બહુ પ્રેરે પ્રણામ કહ્યા, કહે મારી વતી પાય લાગજો ।

અમારા અનુગ્રહનું2 વચન, કર જોડી કૃષ્ણ કહે માગજો ॥૭॥

અમે કુશળ છીએ અંગે, તેહ તો પુણ્ય તમ તણે ।

અતિ સ્તુતિ કરી કહ્યું, બળ કૃષ્ણજી બેઉ જણે ॥૮॥

એમ વાત કરતાં વીતી રજની, પછી ઘેર ઘેર ગોપીજન જાગીયાં ।

કૃષ્ણ કૃષ્ણ કહેતાં કાંઈ, મહી મથવા લાગિયાં ॥૯॥

ઉદ્ધવ સુણી આશ્ચર્ય પામ્યા, આ તો વશ સહુ છે સ્નેહને ।

નિષ્કુળાનંદને નાથે કહ્યું, તે તો કેમ કહેવાશે એહને ॥૧૦॥ કડવું ॥૨૭॥

કડવું 🏠 home