સ્નેહગીતા

કડવું ૩૬

વીરા નથી વિસરતી ઉદ્ધવ એહ વારતાજી, દિલડું દાઝે છે એ સુખ સંભારતાંજી ।

વિસરતું નથી વળી અમને વિસારતાંજી, ચાલોને દેખાડીએ જ્યાં હરિ ગાયો ચારતાજી ॥૧॥

ગાયો ચારતા ગોવિંદ જિયાં, તિયાં ઉદ્ધવને તેડી ગયાં ।

વનિતા વળી ટોળે મળી, સર્વે સ્થળ વનનાં દેખાડિયાં ॥૨॥

ઇયાં એણે અઘાસુર માર્યો, ઇયાં બ્રહ્માજીએ વત્સ હરિયાં ।

ઇયાં બેસી અન્ન જમિયા, ઇયાં વત્સ બાળક બીજાં કરિયાં1 ॥૩॥

આ સ્થળે એણે ગાયો ચારી, આ સ્થળે પાયાં એને નીર ।

આ સ્થળે એ સ્નાન કરતા, સુંદર શ્યામ સુધીર ॥૪॥

આ ઠામે એણે અમને રોક્યાં, આ ઠામે મહી લઈ લૂટિયાં ।

આ ઠામે એણે અંબર તાણ્યું, તેણે કરી માંટ2 મારાં ફૂટિયાં ॥૫॥

ઇયાં એણે વેણ3 વગાડી, ઇયાં રમાડ્યાં એણે રાસ જો ।

ઇયાં તજી ભાગી ગયા4 ભૂધર, ત્યારે અમે થયાં ઉદાસ જો ॥૬॥

પછી ઇયાં જોયાં એનાં પગલાં, તિયાં લાધી અમને એની ભાળ ।

જુવતી સહિત જાતા જાણ્યા, વળી વળગાડી તેને ડાળ ॥૭॥

ઇયાં વશ કીધા અમે, ઇયાં આવ્યા હતા અલબેલ ।

ઇયાં રાસ ફરી રચિયો, પછી રમાડિયાં રંગરેલ ॥૮॥

ઉદ્ધવને સર્વે સ્થળ દેખાડતાં, અતિ આંખડિયે આંસુ ઝરે ।

ઉદ્ધવ અમે કેમ કરીએ, એમ કહી કહીને રુદન કરે ॥૯॥

એવાં સુખ નથી દીધાં એણે, જે વિસાર્યાં પણ વિસરે ।

નિષ્કુળાનંદના નાથ વિયોગે, પાપી પ્રાણ પણ નવ નિસરે ॥૧૦॥ કડવું ॥૩૬॥

કડવું 🏠 home