સ્નેહગીતા

કડવું ૧

રાગ: ધન્યાશ્રી

મંગળ મૂર્તિ છે શ્રીમહારાજજી, વ્રજજનવલ્લભ શ્રીવ્રજરાજજી ।

મે’ર મુજ ઊપર કરો એવી આજજી, અંતર ઇચ્છે છે ગાવા ગુણ કાજજી ॥૧॥

ઢાળ

ગુણ ગાવા ગોવિંદ તમારા, ઇચ્છા તે મુજને અતિ ઘણી ।

ચવું1 ચરિત્ર સ્નેહગીતા, જેવી મતિ ગતિ છે મુજતણી ॥૨॥

સ્નેહે કથા હવે સુણો સહુ, બહુ પ્રકારે મેં પેખિયું2

જપ તપ તીરથ જોગ3 યજ્ઞ, સ્નેહ સમાન નવ દેખિયું ॥૩॥

દાન પુણ્ય ને વ્રત વિધિ, કરે ભક્તિ નવધા કોય ।

સ્નેહ વિના સરવે સૂનું, જેમ ભોજન ઘૃત વીણ હોય ॥૪॥

નીર વિના જેમ સૂકું સરોવર, સુગંધ વિના શિયાં ફૂલ ।

તેમ સ્નેહ વિના સૂનું હૃદય, શું થયું ચવે છે ચંડૂલ4 ॥૫॥

પ્રેમ પખી5 છે લૂખી જો ભગતિ, કોઈ અનેક ગુણ ભાખે6 ભણે ।

ચૌદ વિદ્યાવાન ચતુર જન, વળી કવિ કોવિદને7 કોણ ગણે ॥૬॥

સ્નેહ વિના લૂખું લાગે, કથતાં તે કોરૂં જો જ્ઞાન ।

હેત વિનાનું હૃદય એવું, જેવી વર વિનાની જાન ॥૭॥

સ્નેહ વિના શોભે નહિ, હૃદય તે હરિદાસનું ।

પંકજનયનની8 પ્રીત વિના, અમથું શું રહેવું ઊદાસનું ॥૮॥

નેહનાં નયણે નીર વરસે, ગાતાં ગદગદ ગિરા9 નિસરે ।

કૃષ્ણ કૃષ્ણ કહેતાં મુખે, વળી વપુ10 વિકારને વીસરે ॥૯॥

પ્રીતે ચિત્ત ચરણે સોંપી, અને સ્નેહ સાચો જે કરે ।

નિષ્કુળાનંદના નાથ સાથે, સ્નેહીને સદા સંગે ફરે ॥૧૦॥ કડવું ॥૧॥

કડવું 🏠 home