સારસિદ્ધિ

કડવું - ૧૬

રાગ: ધન્યાશ્રી

બૃહત વૈરાગ્ય છે વણમૂલું1 ઘરેણુંજી, સર્વથી સરસ સદા સુખદેણુંજી ।

પે’રતાં ઊતરે માથેથી ભવ મે’ણુંજી, તે પામિયે હોય પૂરણ જો લે’ણુંજી2 ॥૧॥

રાગ: ઢાળ

પૂરણ લે’ણે એ પામિયે, અંગે એવું આભૂષણ ।

તે શોભાડે સર્વે રીતશું, પમાડે પ્રભુ તતક્ષણ ॥૨॥

જે જે શોભ્યા આ જગ્તમાં, તે તો સર્વે એ ઘરેણે ઘણું ।

પણ શુદ્ધ વૈરાગ્ય વિના સુર નરનું, પાણી3 ન રહ્યું મુખતણું ॥૩॥

વૈરાગ્ય વિના આ વિશ્વમાં, અન્ય શોભાએ જે શોભ્યા ઘણા ।

વણ વૈરાગ્યે જક્ત કર્તા હર્તા,4 લાગ્યા અતિશે લજામણા ॥૪॥

શુદ્ધ વૈરાગ્યે શોભા ઘણી, હરિજનની જાણો જરૂર ।

વૈરાગ્ય વિના લાગે વરવું,5 એ પણ વિચારવું ઉર ॥૫॥

વૈરાગ્યવાન વા’લા હરિને, સામું જોઈને સરાયે6 અતિ ।

વણ વૈરાગ્યવાન વિલોકિને, હરિ રાજી નથી થાતા રતિ ॥૬॥

શુક ભરત સનકાદિક શોભ્યા, બૃહત વૈરાગ્ય ઘરેણે ઘણું ।

જનક જયદેવ કદરજનું કહું, મુખ લાગ્યું સોયામણું ॥૭॥

જો ધરો તો અંગે ધરજો, શુદ્ધ વૈરાગ્યરૂપ શણગાર ।

તો હેતે કરિ હરિ રીઝશે, નિશ્ચે જાણો નિરધાર ॥૮॥

કોઈ સો સો શણગાર સજે શરીરે, કાછ7 શૃંખલા કથીરના8

પણ કંચન વિના કેમ કહિયે, એ શોભાડનારા શરીરના ॥૯॥

તેમ સારામાં સારું ઘરેણું, સુવર્ણ કહે શિરોમણિ ।

નિષ્કુળાનંદ બૃહત વૈરાગ્યની, મોટપ્ય નથી જાતી ગણી ॥૧૦॥

કડવું 🏠 home