સારસિદ્ધિ

કડવું - ૧૧

રાગ: ધન્યાશ્રી

ભગવંતને ભજશે નર નિરમોઈજી, જેને હરિ વિના વા’લું નથી કોઈજી ।

અખંડ રહ્યાં છે એક હરિને જોઈજી, એવા જન જેહ તેહ હરિના હોઈજી ॥૧॥

રાગ: ઢાળ

હરિના જન તેણે જાણિયે, જે છતી મતિયે1 ઉન્મત્ત રહ્યા ।

વિવેકી પણ વૈરાગ્ય વડ્યે, જાણતાં અજાણ થયા ॥૨॥

શ્રવણ છે પણ નથી સુણતા, દૃગ2 છે પણ ન દેખે રૂપ ।

ત્વચા છે પણ નથી જાણતા, શીત ઉષ્ણનું તે સ્વરૂપ ॥૩॥

જિહ્વા છે પણ નથી જાણતા, ષટ્‌રસ ખાવાની રીત ।

વળી વચને કરી નથી વદતા, જે જાણી વાણી અનિત્ય ॥૪॥

પગ છે પણ નથી ચાલતા, કર છે પણ ન કરે કામ ।

નાસા છે પણ નથી સૂંઘતા, સહુ આળસી પામ્યાં છે આરામ ॥૫॥

મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે, તે અંતઃકરણ કે’વાય ।

અતિ થયાં છે આળસુ, અસત્ય મારગ માંય ॥૬॥

વૈરાગ્યે લીધી વર્તિયો વાળીને, સમેટીને સર્વે માંયથી ।

તે રાખી હરિના રૂપમાં, તે મૂકી બીજે જાતિ નથી ॥૭॥

જે પરવરી3 ગઈતી પદાર્થમાં, વૃત્તિ થઈ તે વિષયાકાર ।

તે વાળી પાછી આણી અંતરે, તે તો નિરવેદથી નિરધાર ॥૮॥

નિરવેદ વિના ખેદ પામે, અંતર ને નિરંતર બા’ર ।

દેવ અદેવ4 ને ઋષિ રાજવી, પશુ પન્નગ5 ને નર નાર ॥૯॥

એક વૈરાગ્ય બીજી વજ્રમણિ,6 તેને તપાવી ન શકે કોઈ તાપ ।

નિષ્કુળાનંદ શીતળ સદા, વૈરાગ્ય વજ્રમણિ આપ ॥૧૦॥

કડવું 🏠 home