ભક્તિનિધિ
કડવું – ૩૪
રાગ: ધન્યાશ્રી
ભક્તિ કરે તેહ ભક્ત કે’વાયજી, ભક્તિ વિના જેણે પળ ન રે’વાયજી ।
શ્વાસોશ્વાસે તે હરિગુણ ગાયજી, તેહ વિના બીજું તે ન સુહાયજી1 ॥૧॥
રાગ: ઢાળ
સુહાય નહિ સુખ શરીરનાં, હરિભક્તિ વિના ભૂલ્યે કરી ।
અખંડ રહે અંતરમાં, કરવા ભક્તિ ભાવે ભરી ॥૨॥
હમેશ રહે હરખ હૈયે, ભલી ભાતે ભક્તિ કરવા ।
ભૂલ્યે પણ હરિભક્તિ વિના, ઠામ ન દેખે ઠરવા2 ॥૩॥
ભક્તિ વિના બ્રહ્મલોક લગી, સુખ સ્વપ્ને પણ સમજે નઈ ।
ચૌદ લોક સુખ સુણી શ્રવણે, લોભાય નહિ લાલચુ થઈ ॥૪॥
ભક્તિ વિનાનો નહિ ભરોસો, સદા સ્થિર રે’વા કોઈ ઠામ ।
માટે મૂકી ન શકે ભગતિને, અતિ સમજી સુખનું ધામ ॥૫॥
નવે પ્રકારે નકી કરીને, ભાખ્યા ભક્તિતણા જેહ ભેદ ।
તે અતિ આદરશું આદરે, કરી અહંમમત ઉચ્છેદ ॥૬॥
અહંમમત જાય જ્યારે ઊચલી,3 ત્યારે પ્રગટે પ્રેમલક્ષણા ।
ત્યારે તેહ ભક્તને વળી, રહે નહિ કોઈ મણા ॥૭॥
અરસ પરસ રહે એકતા, સદા શ્રીહરિની જો સાથ ।
અંતરાય નહિ એકાંતિકપણું, ઘણું રહે શ્યામની સંગાથ ॥૮॥
એવે ભક્તે ભગવાનની, ભલી ભાત્યે ભજવી ભગતિ ।
ભક્તિ કરી હરિ રીઝવ્યા, ફરી રહ્યું નહિ કરવું રતિ ॥૯॥
કરીયે તો કરીયે એવી ભગતિ, જેમાં રહ્યો સુખનો સમાજ ।
નિષ્કુળાનંદ ન કરીએ, ભક્તિ લોક દેખાડવા કાજ ॥૧૦॥