હૃદય પ્રકાશ
પ્રસંગઃ ૧૨
દોહા (શિષ્ય ઉવાચ)
શિષ્ય કહે જે સદ્ગુરુ કહ્યું, તે સર્વ સુણ્યું સુખધામ ॥
પણ અંતર ઘાટ શમ્યા વિના, કેમ મનાય પૂરણકામ ॥ ૧ ॥
ભજન સ્મરણ ધ્યાનમાં, એ આવે આડાં ઉ૨ ॥
તેણે કરીને તનમાં, ઝાંખ્યપ રહે જરૂર ॥ ૨ ॥
કેટલાક ઘાટ કે’વાય છે, કેટલાક તો ન કે’વાય ॥
ખરખરો એ ખોટનો, અંતરમાં અતિ થાય ॥ ૩ ॥
ભક્ત થયા ભગવાનના, અને લિયે સંકલ્પ લાજ ॥
એહ વાતની ઉરમાં, મોટી ખોટ ગુરુરાજ ॥ ૪ ॥
અયોગ્ય સંકલ્પ ઊપજી, વરતે જો પળવાર ॥
સુખ રહે કેમ તે સંતને, માને મને ધિક્કાર ॥ ૫ ॥
સંકલ્પ સાચા સાધુને, અયોગ્ય થાય જો એક ॥
દિલ દેહે દાઝે ઘણું, ન રહે સુખ તે નેક ॥ ૬ ॥
તેને ઠેકાણું ઠરવા, બતાવિયે ગુરુ ધીર ॥
જેણે કરી અતિ ઉરમાં, શાંતિ રહે સુખ શિર ॥ ૭ ॥
અંડજ1 ઉદ્ભિજ2 જે કહીએ, સ્વેદજ3 જરાયુજ4 ખાણ ॥
એમાં સહુ જન્મે મરે, એમ કે’ છે વેદ પુરાણ ॥ ૮ ॥
પણ સંકલ્પના શરીરનો, ન કર્યો કોણે નિરધાર ॥
ક્ષણ ક્ષણમાં જનમે મરે, તેનો નાવે પાર ॥૯॥
જે જે સંકલ્પ ઉપજે, તે તે ધરાવે તન ॥
એમ સમજી સંત સહુ, અતિ કંપે છે મન ॥૧૦॥
પળપળમાં પિંડ ધારવાં, અશુભ શુભ અગણિત ॥
તેની દાઝ તનમાં, કહો મટે કોણ રીત ॥૧૧॥
સંકલ્પના શરીરનો, કે’તાં નાવે પાર ॥
બીજા ચોરાશી બા’રની, સૌ જાણે છે નરનાર ॥૧૨॥
માટે એ કેમ મટે, અંતર ઘાટ અજોગ ॥
સંકલ્પ શમતાં સહુ શમે, જન્મમરણ ભવરોગ ॥૧૩॥
સદ્ગુરુ ઉવાચ
સદ્ગુરુ કહે સુણ શિષ્ય તું, સાચું કહું સુજાણ ॥
ઉત્તર આપું એહનો, પૂછ્યું પ્રશ્ન પ્રમાણ ॥૧૪॥
જે જે ઉર ઘાટ ઉપજે, જે સમે જેહ કાજ ॥
તે સમે સંભારવા, મનમોહન મહારાજ ॥૧૫॥
જેમ સતયુગ ત્રેતા દ્વાપરે, ફરતું સુદર્શન ॥
દાસનાં દુઃખ ટાળવા, ભય ભંજન ભગવન ॥૧૬॥
તેમ આજ પ્રભુની મૂરતિ, સુદર્શન સમાન ॥
અંતરશત્રુ સંતના, નાશ કરે નિદાન ॥૧૭॥
ઊઠે ઘાટ જ્યાં ઉરમાં, તિયાં સંભારે શ્યામ ॥
મૂર્તિ સંકલ્પ માત્રનું, તર્ત ટાળે ઠામ ॥૧૮॥
જન જાચે5 જન્મોજન્મ, ભક્તિ દ્યો ભગવાન ॥
તે જનમ બીજો નહિ, સંકલ્પ દેહ સમાન ॥૧૯॥
હોય નહિ હરિજનને, ઉદર માને અવતાર ॥
પણ ઘટ6 બંધાવા ઘાટનું, નવ દેવું નિરધાર ॥૨૦॥
શિષ્ય ઉવાચ
શિષ્ય કહે જન્મમરણનું, કારણ એહ કે’વાય ॥
સંકલ્પ ત્યાં સાચું સહુ, સંકલ્પ સમે સમાય ॥૨૧॥
તે તો પ્રભુ પ્રતાપથી, આવે ઉદ્ભવ અંત ॥
અવર બીજા ઉપાયથી, સુખી ન હોયે સંત ॥૨૨॥
માટે કૃપા કરી હરિ, સમાવે સંકલ્પ ॥
સુખે ભજીયે શ્યામને, ન પડે કોયનો ખપ ॥૨૩॥
જનનું જોર કેટલું, નિર્બળ નર કે’વાય ॥
હરિ ધારે હૈયે એટલું, તો વાર ન લાગે કાંય ॥૨૪॥
સદ્ગુરુ ઉવાચ
સદ્ગુરુ કહે એહ રીત નહિ, જે અંતર કરે ઉચ્છેદ ॥
અંતર ત્યાં એહ પણ ખરાં, ઘાટઘાટના ભેદ ॥૨૫॥
જ્યારે અંતર ઓગળી, વળી ટળી જાય છેક ॥
ત્યારે તેહ જનને, ઉત્થાન7 ન રહે એક ॥૨૬॥
ત્યારે તેહ જનને, ન રહે શરીર સંભાળ ॥
દેહભાન ભૂલ્યા પછી, રહે ન તન બહુકાળ ॥૨૭॥
વળી જ્યારે જે જે જનને, હરિ કરી દે એમ ॥
ત્યારે બીજા જનનો, કઢાય વાંક કો’ કેમ ॥૨૮॥
ભક્તિ તૈયે ભગવાનની, એથી ન થઈ અણુભાર ॥
સોંપ્યું કામ જ્યારે શ્યામને, ત્યારે નીસર્યો નર નાદાર8 ॥૨૯॥
ભક્ત ભક્તિ ભજાવવા, કરે ઉદ્યમ અપાર ॥
જોઈ જનનો દાખડો, શ્રીહરિ કરે છે સાર ॥૩૦॥
ભક્તનું કામ ભક્ત કરે, ભગવાનનું ભગવાન ॥
અવળું સવળું સોંપવું, એહ મોટું અજ્ઞાન ॥૩૧॥
માટે હરિબળ હૈયે ધરી, કરિયે અતિ આખેપ9 ॥
પ્રભુના પ્રતાપથી, આવી જાય જો ઠેપ10 ॥૩૨॥
મોરે મુક્ત જે જે થયા, તેણે કરી તપાસ ॥
અંતરના અરિ જીતવા, વનમાં જૈ કર્યો વાસ ॥૩૩॥
શબ્દ સ્પર્શ રૂપ રસ, સારો ગંધ સુગંધ ॥
દુઃખદાઈ દેખી દિલે, તજ્યો તેનો સંબંધ ॥૩૪॥
એણે એમ કહ્યું નહિ, જે કરશે મહાપ્રભુ મે’ર ॥
અંતરશત્રુ જીતશું, સુખે બેઠાં ઘેર ॥૩૫॥
માટે કે’દી દેવો નહિ, દીનબંધુને દોષ ॥
એવું મુખે જે ઉચ્ચરે, તે પર કરે હરિ રોષ ॥૩૬॥
કે’ એને અનુપ મેં આપિયો, મોંઘો મનુષ્યનો દેહ ॥
તોયે વાંક અમ તણો, કાઢે કૃતઘ્ની એહ ॥૩૭॥
નરતન પામી નવ કર્યો, ઉરમાં એમ વિચાર ॥
પૂરણ કૃપા કરી હરિ, આપ્યો અમૂલ્ય અવતાર ॥૩૮॥
અંતરશત્રુ જીતવા, સારો દીધો સમાજ11 ॥
ભવજળ પાર ઉતરવા, નરતન ઉત્તમ જા’જ ॥૩૯॥
તે આપ્યું અવિનાશિયે, દયા કરીને દયાળ ॥
હવે હું આળસ કરું, તો રહે ખોટ્ય બહુ કાળ ॥૪૦॥
એમ સમજે તે સંત છે, હરિભક્ત કહિયે હરિદાસ ॥
ગુણ ગણે ગોવિંદમાં, અવગુણ પોતા પાસ ॥૪૧॥
ભૂલ્યે પણ ભાખે નહિ, વૈખરિયે12 એહ વેણ ॥
મારું દુઃખ મટ્યું નહિ, શ્યામ કા’વે સુખદેણ ॥૪૨॥
દાસનાં દુઃખ કાપવા, ત્રિકમ રે’ છે તૈયાર ॥
મારું દરદ મટ્યું નહિ, કરું કિયાં પોકાર ॥૪૩॥
એમ બોલે અભાગિયો, દઈ હરિને દોષ ॥
મિથ્યા વાંક મહારાજનો, કાઢી કરે અપસોસ ॥૪૪॥
એવા ભક્ત બહુ જક્તમાં, તે પર કરે હરિ રીસ ॥
માટે દોષ ન દેવો નાથને, સદ્ગુરુ કહે સુણ શિષ્ય ॥૪૫॥
સોરઠા
એમ ન કરે અપસોસ, રાતદિવસ રુદિયા વિષે ॥
દૈયે હરિને દોષ, રોષ કરી રીસે નહિ ॥૪૬॥
ઇતિ શ્રીહૃદયપ્રકાશમધ્યે સદ્ગુરુશિષ્યસંવાદે દ્વાદશઃ પ્રસંગઃ ॥૧૨॥