વચનામૃત નિરૂપણ

સારંગપુર ૧૦

સં. ૧૯૪૩, વડતાલમાં કોઠારી ત્ર્યંબકલાલ ભગતજીને સભામાં વાતો કરવા કહ્યું. ત્યારે ભગતજીએ પાસે બેઠેલા કુંજવિહારીદાસ શાસ્ત્રી પાસે સારંગપુર ૧૦મું વચનામૃત વંચાવ્યું અને પોતે વાત કરતાં કહ્યું, “આ વચનામૃતમાં મહારાજે દેહ છતાં જ એકાંતિક ધર્મ સિદ્ધ થઈ જાય અને ઇન્દ્રિયો-અંતઃકરણ પુરુષોત્તમરૂપ થઈ જાય એવી કરામત બતાવી છે, પણ એ કરામત એવા મર્મને શીખેલા મોટા સત્પુરુષ થકી શિખાય છે. મેં મારા ગુરુ પાસે એ વિદ્યા સિદ્ધ કરી છે.” એમ કહી બ્રહ્મસ્થિતિની વાત કરી... “આ સ્થિતિ સિદ્ધ કરવા માટે પ્રથમ તો મારા ગુરુએ મને એવી કળા શીખવાડી છે કે જેમ દૂધમાં જામણ (મેળવણ) નાખીએ ત્યારે દહીં થાય અને પછી દહીંમાંથી ઘી થાય, તેમ મારા આત્મામાં ભગવાન અખંડ રહ્યા છે. એવી જે સમજણ કરવી તે દૂધમાં જામણ નાખ્યા બરાબર છે. અને એવી સમજણ કરી અંતરમાં ભગવાનને પ્રગટ કરવા એ દહીં વલોવી, માખણ કરી ગજવામાં મૂકવા બરોબર છે.” એમ કહી આગળ ભગતજી બોલ્યા, “પાંચસો મણ સોનું હોય પણ પાંચ વરસના છોકરાથી ન ઊપડે અને ન લેવાય. એ તો જ્યારે દૂધ અને સાકરનું પાન કરે અને મોટું થાય ત્યારે ઉપાડવા સમર્થ થાય. તેમ આ જીવ બાળક જેવો નિર્બળ છે. પણ એકાંતિક સાધુ થકી કથાવાર્તારૂપી દૂધ પીએ તો બળિયો થાય અને અંતરમાં અખંડ ભગવાનની મૂર્તિ ધારી રાખે.”

[બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત: ૨૦૯]

 

સંવત ૧૯૪૫, ભાદરોડ. ભગતજીએ સારંગપુર ૧૦મું વચનામૃત વંચાવ્યું અને કહ્યું, “અંતરમાં જ્યારે ભગવાન દેખાય છે અને મૂર્તિનું સુખ આવે છે ત્યારે એવો આનંદ આવે છે કે વર્ણવી શકાય જ નહીં, પણ સહજ દૃષ્ટાંત દઉં છું – એક રાજાનો કુંવર શિકાર કરવા ગયો હતો. રસ્તામાં બહુ તરસ લાગી તેથી કૂવે પાણી પીવા ગયો. કૂવો ખૂબ જ ઊંડો અને અંધારો. તેથી પાણી કાઢતાં પોતાનો લાખ રૂપિયાનો હીરાજડિત વેઢ કૂવામાં પડી ગયો. પછી તો તેણે ગામમાંથી તારા બોલાવ્યા. અને કોઈને હજાર, કોઈને બે હજાર, કોઈને પાંચ હજાર આપવાનું કહ્યું. પછી એક હોશિયાર તારો કહે, ‘રૂપિયા દસ હજાર લઉં.’ એટલે કુંવરે કબૂલ કર્યું, તે તારો મોઢામાં તેલનો કોગળો ભરીને કૂવામાં ઊતર્યો અને પાણીમાં જઈને તેલનો કોગળો કર્યો. તે અજવાળું થયું અને વેઢ મળી ગયો તે તારાને વેઢ લઈને ઉપર આવતાં દસ હજાર મળશે તેનો જે આનંદ થાય! પણ પાણીમાં છે ત્યાં સુધી એ આનંદ કોને બતાવે અને કોને કહે? મનમાં ને મનમાં બસ મલકાય અને છાતી હર્ષથી પહોળી થાય. તેમ ભગવાન સામું જુએ છે ત્યારે એવો આનંદ થાય છે, જે કોઈને કહેવાતો નથી.”

[બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત: ૨૯૧]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ