share

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

જેતલપુર ૧

જેતલપુર ૧

સંવત ૧૮૮૨ના ચૈત્ર સુદિ ૩ ત્રીજને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ ગામ શ્રીજેતલપુર મધ્યે મોહોલની જગ્યામાં આસોપાલવની હેઠે ઢોલિયો બિછાવ્યો હતો તે ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને કંઠને વિષે ગુલદાવદીના બહુ હાર પહેર્યા હતા અને પાઘમાં ડોલરિયાના તોરા ઝૂકી રહ્યા હતા અને બે કાન ઉપર કર્ણિકારનાં બે પુષ્પ ખોસ્યાં હતાં અને હસ્તકમળને વિષે સુંદર લીંબુના ફળને ફેરવતા હતા ને દહાડો ચાર ઘડી ચઢ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ સંત તથા દેશદેશનાં સત્સંગી બાઈ-ભાઈ સર્વેની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ સર્વે સભા પ્રત્યે પ્રશ્ન પૂછતા હવા જે, “આ લોકને વિષે સર્વે વાદના કરનારા છે તેમના બે મત છે. તેમાં એક તો દ્વૈત મત છે ને એક અદ્વૈત મત છે.૨૩ તેમાંથી મુમુક્ષુ હોય તે કિયા મતને ગ્રહણ કરે? તે કહો.” ત્યારે પુરુષોત્તમ ભટ્ટ બોલ્યા જે, “હે મહારાજ! અદ્વૈત મતમાં તો પોતાના આત્માને જ ભગવાન જાણી ગમે તેવું આચરણ કરે તેથી મોક્ષના માર્ગમાંથી પડી જાય; માટે જે મુમુક્ષુ હોય તે તો દ્વૈત મતને ગ્રહણ કરે.” ત્યારે શ્રીજીમહારાજે આશંકા કરી જે, “દ્વૈત મતને વિષે તો જીવ, ઈશ્વર ને માયા એ સત્ય છે. તે જ્યારે માયા રહે ત્યારે જીવનો મોક્ષ કેમ થાય?” ત્યારે પુરુષોત્તમ ભટ્ટ બોલ્યા જે, “શુભ કર્મ કરતાં થકાં મોક્ષ થાય.” ત્યારે શ્રીજીમહારાજે વળી આશંકા કરી જે, “નિવૃત્તિ ને પ્રવૃત્તિ એ બે પ્રકારનાં જે કર્મ છે તે તો સુષુપ્તિરૂપ માયામાં લીન થઈ જાય છે. તે સુષુપ્તિ તો કેવી છે? તો જેમ લોકાલોક પર્વત ઉલ્લંઘવા કોઈ સમર્થ નથી, તેમ સુષુપ્તિને ઉલ્લંઘવાને જીવ કોઈ સમર્થ થાતો નથી. તો તેથી પર સામ્યાવસ્થારૂપ માયા છે; તે તો બહુ મોટી છે, તે તો કોઈ જીવથી ન ઉલ્લંઘાય. ત્યારે તે માયા તરવાનો ઉપાય એ છે જે, જ્યારે સર્વ કર્મ અને માયા તેનો નાશ કરનારા ને માયાથી પર જે સાક્ષાત્કાર શ્રીપુરુષોત્તમ ભગવાન અથવા તે ભગવાનના મળેલ સંત તેમની જીવને પ્રાપ્તિ જ્યારે થાય છે ત્યારે તેમના આશ્રયથી માયા ઉલ્લંઘાય છે.” એમ કહીને શ્રીજીમહારાજ મોહોલ ઉપર ભોજન કરવા પધાર્યા.

પછી ભોજન કરીને પાછા આસોપાલવ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન થયા અને સર્વ સંતને અને હરિભક્તને અમૃતદૃષ્ટિએ જોતા થકા શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, “પ્રથમ તો આ જીવને કોઈ ન માનતો હોય ત્યારે એની વૃત્તિ કેવી હોય! અને પછી જ્યારે સો મનુષ્ય એને માને ત્યારે એનો અહંકાર તે પણ નોખી જાતનો થાય છે અને હજાર મનુષ્ય માને તથા લાખ મનુષ્ય માને તથા કરોડ મનુષ્ય માને ત્યારે એનો અહંકાર તે જુદી જાતનો થાય છે. અને ક્યારેક બ્રહ્મા જેવો થાય, ક્યારેક શિવ જેવો થાય, ક્યારેક ઇન્દ્ર જેવો થાય, ત્યારે તે સવળા વિચારવાળો એમ જાણે જે, ‘આ મારી મોટ્યપ છે તે આ વડે નથી.’ ત્યારે શા વડે છે? તો આત્મા વડે મોટપ છે. અને બીજું, સંતને સમાગમે કરીને મોટપ છે; કેમ જે, બ્રહ્માદિક જેવા મોટા છે તે પણ સંતના ચરણની રજને ઇચ્છે છે. ત્યારે સંતને વિષે શી મોટપ છે? તે કહીએ છીએ જે, દ્રવ્ય, પદાર્થે કરીને કે રાજ્યે કરીને તો કાંઈ સંતને મોટપ નથી પણ સંતને તો મોટપ ભગવાનની ઉપાસના ને ભક્તિ તે વડે છે. ને બીજું, સંતને આત્મનિષ્ઠા છે તે મોટપે મોટપ છે. અને એમ ન જણાય તો આત્માનો એમ નિશ્ચય કરવો જે, પ્રગટ ભગવાન જેને મળ્યા હોય એવા જે સંત તેને વિષે આત્મબુદ્ધિ રાખવી ને તેને જ પોતાનું સ્વરૂપ માનવું. ત્યારે કોઈક આશંકા કરે જે, સ્વામી-સેવકપણું કેમ રહે? તો ત્યાં દૃષ્ટાંત છે જે, ગાલવ રાજા હતા તેને યજ્ઞ કરવો હતો, ત્યારે તેને શ્યામકર્ણ ઘોડા લાવવા હતા. તે શ્યામકર્ણ ઘોડા તો વરુણને ઘેર હતા, ત્યાં તો પોતાથી જવાય નહીં. ત્યારે તે ગાલવ રાજાએ ગરુડજીને તેડાવ્યા ને ગરુડ ઉપર બેસીને ઘોડા ત્યાંથી લઈ આવ્યા.૧૫ ત્યારે શું ગરુડજીને વિષેથી ગાલવ રાજાને દાસપણું મટી ગયું? એ તો ન મટ્યું, તેમ બ્રહ્મવેત્તાને વિષે આત્મબુદ્ધિ૧૬ માનવી, તે શા સારુ જે, એને આવરણ ભેદ્યાની ગતિ છે, તે સારુ એને વિષે આત્મબુદ્ધિ રાખવી.” પછી એમ કહ્યું જે, “આ વાર્તા સર્વે રાખજો ને આ વાત સર્વેનું જીવન છે!”

॥ ઇતિ વચનામૃતમ્ ॥ ૧ ॥ ૨૭૦ ॥

* * *

This Vachanamrut took place ago.


પાદટીપો

૧૫. મહાભારત, ઉદ્યોગપર્વ, અધ્યાસ: ૧૦૪-૧૧૨.

૧૬. ‘આપોપું કરવું’ એવો પણ પાઠાંતર છે.

૨૩. સંપ્રદાયોનો વિભાગ બે વર્ગમાં કરવામાં આવેલો છે:

  • ૧. અદ્વૈત એટલે કેવળ એક તત્ત્વમાં માનનાર સંપ્રદાય અને

  • ૨. દ્વૈત એટલે અનેક તત્ત્વમાં માનનાર સંપ્રદાય.

સમજૂતી: ભારતીય દર્શન પરંપરામાં જુદા જુદા આચાર્યોએ પોતપોતાના મતનું સ્થાપન કર્યું છે. આ પૈકી વેદાંત દર્શનમાં શ્રીશંકરાચાર્યે અદ્વૈત મત,

  • શ્રીરામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈત મત,

  • શ્રીમધ્વાચાર્યો દ્વૈત મત,

  • શ્રીનિમ્બાર્કાચાર્યે દ્વૈતાદ્વૈત મત,

  • શ્રીવલ્લભાચાર્યે શુદ્ધાદ્વૈત મત,

  • શ્રીચૈતન્ય મહાપ્રભુએ અચિન્ત્ય ભેદાભેદ મત

વગેરે જુદા-જુદા મતનું પ્રવર્તન કર્યું.

શ્રીજીમહારાજ ઉપરોક્ત સર્વે મતને ધ્યાનમાં રાખીને આ વચનામૃતમાં બે પ્રકારના મતની વાત સમજાવે છે. એ પૈકી પ્રથમ પ્રકારનો મત શ્રીશંકરાચાર્યનો અદ્વૈત મત છે, જેમાં એકમાત્ર બ્રહ્મ જ સત્ય તત્ત્વ છે અને એ સિવાય જીવ-જગત બધું જ મિથ્યા છે. બીજા પ્રકારનો મત ‘દ્વૈત મત’ તરીકે જણાવે છે. વસ્તુતઃ તો દ્વૈત મત શ્રીમધ્વાચાર્યનો છે, પરંતુ અહીં પ્રયોજાયેલો ‘દ્વૈત’ શબ્દ કેવળ શ્રીમધ્વાચાર્યના દ્વૈત મત પરક નથી, પરંતુ શ્રીરામાનુજાચાર્ય, શ્રીમધ્વાચાર્ય, શ્રીનિમ્બાર્કાચાર્ય, શ્રીવલ્લભાચાર્ય, શ્રીચૈતન્ય મહાપ્રભુ વગેરે વૈષ્ણવ સંપ્રદાય પરક છે.

જે જે સંપ્રદાયમાં જીવ, માયા વગેરે પરબ્રહ્મથી જુદા અને સત્ય સમજવામાં આવ્યા છે, તેના માટે મહારાજે ‘દ્વૈત’ શબ્દ પ્રયોજ્યો છે. શ્રીજીમહારાજ પણ આ અર્થ પ્રમાણે દ્વૈતમતનો સ્વીકાર કરે છે, કારણ કે તેઓ પણ વૈષ્ણવ આચાર્યોની જેમ જીવ, માયા વગેરેને પરબ્રહ્મથી ભિન્ન અને સત્ય સમજાવે છે. જોકે અન્ય આચાર્ય મુખ્યત્વે જીવ, માયા અને ઈશ્વર આ ત્રણ તત્ત્વોનો સ્વીકાર કરે છે, જ્યારે શ્રીજીમહારાજ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આ પાંચ નિત્ય તત્ત્વોનો સ્વીકાર કરે છે. (વચનામૃત ગઢડા પ્રથમ ૭; ગઢડા અંત્ય ૧૦)

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ

Type: Keywords Exact phrase