॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગઢડા પ્રથમ-૬૮: અષ્ટ પ્રકારની પ્રતિમામાં અને સંતમાં અખંડ રહ્યાનું
નિરૂપણ
ગુણાતીતાનંદ સ્વામી કહે, “કોઈ ઐશ્વર્યને ભલા થઈને ઇચ્છશો મા ને જો આવે તો આપણે કાંઈક કરી નાખીએ એમ છે, માટે એમાં કાંઈ માલ નથી. દેશકાળે સ્થિતિ રાખવી, તે શું? તો દ્રવ્ય ગયું કે દીકરો દેહ મૂકી ગયો કે ખાવા અન્ન ન મળ્યું તો તેમાં સમજણ કામ આવે છે. તે એક વાણિયે પરદેશમાં જઈને કરોડ્ય સોનાનાં રાળ ભેળાં કર્યાં ને વહાણ ભરીને આવ્યો. તેણે કાંઠે ઊતરવા પાટિયા ઉપર પગ દીધો કે વહાણ બૂડ્યું. ત્યારે વાણિયો કહે, ‘અહો! થયું ને માથે.’ પણ પછી કહે, ‘જન્મ્યા ત્યારે એ ક્યાં હતાં?’ તેમ જ એક ફકીરને રસ્તામાં ચાલતાં દોરડું મળ્યું. તે તેણે ખંભે નાખ્યું હતું પણ તે પાછું પડી ગયું. પછી થોડોક ચાલ્યો ત્યારે ખબર પડી. ત્યારે કહે છે, ‘કાંઈ નહીં, મુજ કુ રસ્સા પાયા જ નો’તા;’ એમ વિચારીને આનંદમાં રહેવું. વળી, કાકાભાઈના વચનામૃતમાં (ગઢડા પ્રથમ ૭૦) પણ કહ્યું છે જે, ‘ઘરમાં દસ માણસ હોઈએ ને તે સર્વે મરવાનાં હોય, તેમાંથી એક બચે તો શું થોડો છે?’ માટે એમ સમજવું.”