વચનામૃત પ્રસંગ
ગઢડા પ્રથમ ૬૧
ભગવાનની દયા શું?
બપોરે જમ્યા પછી ૧-૩૦ વાગે વચનામૃત ગ. પ્ર. ૬૧મું સમજાવ્યું. મૂર્તિના વર્ણનમાં આવ્યું કે મહારાજે શ્વેત ધોતિયું મસ્તકે બાધ્યું હતું. તે સાંભળી સ્વામીશ્રીના મુખમાંથી ઉદ્ગારો નીકળી ગયા, “અહાહા...!” પછી તો જેમ જેમ મૂર્તિનું વર્ણન આવતું ગયું, તેમ તેમ મૂર્તિમાં લીન હોય એમ, “અહાહા! અહાહા!” એમ ભાવપૂર્ણ ઉદ્ગારો નીકળતા ગયા.
આ વચનામૃતમાં એમ વાત આવી: “જેમ જેમ ભગવાન અતિ કસણી દેતા જાય તેમ તેમ અતિ રાજી થવું.”
આ શબ્દો સાંભળતાં સ્વામીશ્રી બોલી ઊઠ્યા કે, “ભગવાન દુઃખ દે તો છાતી પહોળી થવી જોઈએ! અહાહા, શું ભગવાનની દયા!”
આવું કોણ સમજાવી શકે? જેણે જીવનભર કસણીનો અનુભવ કર્યો હોય, માત્ર કસણી નહિ અતિશય કસણી વેઠી હોય, છતાં એક ડગ પણ પાછો ભર્યો ન હોય, અતિ રાજી થકા સહન કર્યું હોય, તેવા પુરુષના મુખમાંથી આ અનુભવ વાણી સરી શકે કે, “છાતી પહોળી થવી જોઈએ. શું દયા!” અનુભવી પુરુષ વગર શ્રીજીમહારાજની વાણીનું રહસ્ય કદાપિ સમજી શકાય નહિ. અને આવા અનુભવી પુરુષ પોતાના આશ્રિત ભક્તોને પણ આવું આત્મબળ આપી, પોતા જેવા જ તૈયાર કરી શકે. ત્યારે જ મહારાજના શબ્દો સાર્થક થાય! વાણી સાકાર થાય!
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૫/૧૯૧]