વચનામૃત પ્રસંગ
લોયા ૧૭
સં. ૧૯૩૮, આચાર્યશ્રી વિહારીલાલજી મહારાજ સાથે કોઠારી શ્રી ગોવર્ધનભાઈ તથા કોઠારી બેચર ભગત છપૈયા ગયા. ત્યાં કોઠારી ગોવર્ધનભાઈ તથા કોઠારી બેચર ભગતની વચ્ચે અંટસ પડી અને એવો વિક્ષેપ થયો કે વડતાલ પાછા આવવું પડ્યું. અહીં પણ કોઠારી ગોવર્ધનભાઈના કહેવાથી હરિભક્તોએ વિરોધ કર્યો ને કોઠારી બેચર ભગતને મંદિરમાંથી રજા આપી. માનભંગ થવાથી ભગતજી વિષે હેતવાળા એવા વૈદ્યરાજ વિશ્વનાથભાઈને ત્યાં ચાણસદ ગયા. અહીં ભગતજીનો મહિમા સાંભળી શાંતિ થઈ. અહીંના હરિભક્ત કાલિદાસને ભગતજીએ સ્વપ્નમાં દર્શન દીધાં કે ભગતજી ગઢડા પધાર્યા છે. આથી વૈદ્યરાજ અને કોઠારી બેચર ભગત ગઢડા આવ્યા અને અહીં ભગતજીનાં દર્શન કરી આશ્ચર્ય પામ્યા. અહીં કોઠારી બેચર ભગતને જોઈ ભગતજીએ ખૂબ ઠપકો આપ્યો અને કહ્યું, “નિર્માની થઈ સૌને પગે લાગો એટલે તમને રાખશે.” એટલી વાત કરી પછી લોયા ૧૭મું વચનામૃત વંચાવીને ભાગવતમાં ઉદ્ધવજી ગોપીઓનો મહિમા કેવો સમજતા તેની વાત કરી કહ્યું, “શ્રીજીમહારાજને માની ભક્તની ચાકરી પણ ગમતી નહીં. માનરૂપ દોષ મોટા મોટામાં પણ રહી જાય છે.” તે ઉપર બ્રહ્માનંદ સ્વામી, શુકમુનિ તથા સુરાખાચરની વાત કરી. પછી હસતાં હસતાં ભગતજીએ કહ્યું, “જેના નિરમાની ભગવાન તેના ભક્તને શે જોઈએ માન.” કોઠારી બેચર ભગત સમજી ગયા અને ભગતજીની આજ્ઞાથી વડતાલ જઈ ગોરધનભાઈ કોઠારીની દંડવત્ પ્રણામ કરી માફી માગી આવ્યા. અને ત્યાર બાદ તેઓ સાધુ થયા અને તેઓનું નામ ‘મહાપુરુષદાસજી’ પડ્યું. આમ ભગતજીએ દેશકાળ ટાળી, ત્યાગી કરી, અખંડ ભજન-સ્મરણ થાય એવું સુખ કરી આપ્યું.
[બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત: ૧૮૮]