વચનામૃત પ્રસંગ
કારિયાણી ૧૧
પ્રસંગ ૧
કારિયાણી પ્રકરણનું અગિયારમું વચનામૃત વંચાવતાં વાત આવી કે: “એવો ભક્ત જ્યાં જાય ત્યાં ભગવાનની મૂર્તિ પણ એ ભક્ત ભેળી જ જાય છે.”
એ સાંભળી ઈશ્વરભાઈ દેસાઈ વચમાં બોલ્યા, “બાપા! ત્યારે મૂર્તિ તો જૂનાગઢમાં ગઈ.” (અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢ રહેતા એટલે)
“અત્યારે તમારી ભેળી જ છે.” યોગીજી મહારાજે ઈશ્વરભાઈની કલ્પનાને દોઢસો વર્ષ નજીક લાવી જણાવ્યું કે “મહારાજ પ્રગટ જ છે, તમારી ભેળા જ છે.”
યોગીજી મહારાજનાં આવા ત્વરિત કથનથી સભામાં પ્રતીતિ સાથે આનંદનું મોજું ફરી વળ્યું.
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૨૨૧]
પ્રસંગ ૨
તા. ૧૬/૪/૧૯૬૧, પરદેશથી પધારતા ભક્તોનું મુંબઈ બંદરે પ્રમુખસ્વામી, કોઠારી હરિજીવનદાસ વગેરે સંતો-ભક્તોએ સ્વાગત કર્યું. કપોળ વાડીમાં સૌનો ઉતારો હતો. યોગીજી મહારાજ યાત્રામાં પધારતા ન હોવાથી રેકોર્ડેડ કૅસેટ દ્વારા પોતાનો સંદેશો મોકલ્યો હતો, જે સૌ હરિભક્તોને સંભળાવ્યો. સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે: “વચનામૃત કારિયાણી ૧૧ પ્રમાણે આજ્ઞાથી જનાર સાથે મૂર્તિ ભેળી જ છે. દિવ્ય સ્વરૂપે સ્વામી-શ્રીજી તથા શાસ્ત્રીજી મહારાજ સાથે જ છે.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૧૭૨]