વચનામૃત નિરૂપણ

ગઢડા અંત્ય ૧૭

તા. ૨૮/૧૨/૧૯૫૬. રાત્રે મદ્રાસ જતાં ટ્રેનમાં યુવકોને બોલાવી, વચનામૃત ગઢડા અંત્ય ૧૭મું વચનામૃત વંચાવ્યું અને યોગીજી મહારાજે વાત કરી, “આમાં ભરતજીનું આખ્યાન ચમત્કારી કહ્યું, તે ચમત્કાર કયો? ભરતજીએ રાજ્ય મૂક્યું, સગાંવહાલાં મૂક્યાં, અને પોતે ઋષભદેવ ભગવાનના પુત્ર હતા, તો પણ એક તુચ્છ એવી મૃગલીમાં દયાએ કરીને બંધાયા. દયા કરતા પણ આવડવી જોઈએ, અને સાધારણ ઘટે તેમ રાખવી, પણ તેમાં બંધાવું નહીં. ભગવાનના ભક્તને ભગવાન સિવાય બીજે વૃત્તિ રહે એ મોટું પાપ છે. ખરેખરા મોટાપુરુષ હોય તે તો ક્રિયામાં બંધાય જ નહીં અને કોઈને બંધાવા પણ દે નહીં.

“સ્વામી જૂનાગઢના મહંત હતા પણ જોળી ખીંટીએ ટીંગાડી રાખતા, તે જો મહારાજનો ગઢડાથી કાગળ આવે કે તરત જ લઈને ગઢડા જવાની તૈયારી રાખતા. નિષ્કુળાનંદ સ્વામીએ ધોલેરાનો વ્યવહાર કર્યો પણ સાલેમાળ માથે નાખ્યો એમ કહેતા. આજ્ઞાએ કરીને વ્યવહાર તો કરવો, જોડાવું પૂરેપૂરું, પણ તેમાં નિર્બંધ અને નિર્દોષ રહેવું. વ્યવહાર બંધનકારી ન થવો જોઈએ. એનું નામ જ સ્થિતિ કહેવાય.

“વ્યવહારના સંકલ્પ થાય, જગતના સંકલ્પ થાય, ત્યાં સુધી વાસના ટળી નથી. વાસના ટળે ત્યારે ભગવાનના જ સંકલ્પ રહે. વ્યવહારના સંકલ્પ ભગવાનની મૂર્તિ ભુલાવી દે અને ભક્તિમાં મોટું વિઘ્ન કરે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૧૭૪]

 

યોગીજી મહારાજ કહે, “ભગવાનને અર્થે ભરતજીએ આખી પૃથ્વીનું રાજ્ય છોડ્યું, છતાં મૃગલીનું બચ્ચું આડું આવ્યું એ ચમત્કાર! જ્ઞાન છતાં આસક્તિ, દયા, બંધન થયું. સ્ત્રી, દ્રવ્ય, ચેલામાં આસક્તિ ન રાખવી. એ ધૂળ થઈ જાય તે ચમત્કાર. ભગવાન ને સંતમાં એવું હેત કરવું. તો એ રૂપ થઈ જવાય. પણ અહીં (સત્પુરુષમાં) થતું નથી. શી સમજણથી આસક્તિ તૂટે? જ્ઞાન ને આશીર્વાદથી બંધન ન થાય.

આ આખ્યાન સાંભળી સમજવાનું કે બંધાવું નહીં. જગતમાં આસક્તિ ન કરવી. આવા મોટા બંધાઈ ગયા તો આપણી શી ગુંજાશ? પાપે કરીને બંધાણા. અનંત પ્રકારનાં પાપ છે, ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે હેત કરવું તે મોટું પાપ છે. ભગવાનના ભક્તોમાં આસક્તિ થાય તો? એ તો કરવાનું છે. લૂખા રહેવાનું છે? તેથી એકાંતિક થઈ જવાય. બીજા ઉપર દયા તો કરવી પણ ઠેઠ સુધીની ન કરવી. મોક્ષ ફરી જાય તેવી દયા ન કરવી.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૩૫૧]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ