વચનામૃત નિરૂપણ

ગઢડા મધ્ય ૪૯

તા. ૧૧/૩/૧૯૬૩, મુંબઈ. સવારે કથાપ્રસંગમાં વચનામૃત ગઢડા મધ્ય ૪૯મું સમજાવતાં યોગીજી મહારાજે વાત કરી, “આ વચનામૃત ગુણાતીતાનંદ સ્વામીએ યોગેશ્વરદાસ પાસે સાધુના દવાખાના આગળ ૧૧ વખત વંચાવ્યું. પ્રત્યક્ષ બીજા હતા? પોતે જ. મર્મમાં વાત કરે છે. ‘મુજ વિના જાણજો રે, બીજા માયિક સૌ આકાર...’ મહારાજ વિના પ્રકૃતિપુરુષ સુધી બધું માયિક, વચનામૃત ગઢડા મધ્ય ૨૪ પ્રમાણે.

“અવતાર માયામાં છે, એમ કહે તો લોક ધખે; પણ વૈરાટમાંથી અવતાર થયા તે ‘વૈરાટ માયામાંથી છે’ એમ કહેતાં ન ધખે! અવતારો અક્ષરના રોમમાં ઊડતા ફરે છે. મૂળ પુરુષને જ પુરુષોત્તમ કહે છે. તેથી પર જ્ઞાન કોઈને નથી. જન્મ્યા મો’ર શાદી ક્યાંથી લખાય.

“માયિક આકારનું ચિંતવન કર્યું તેમાં ભોગ મર્યા. માયિક આકાર એટલે અવતારોની વાત. પર્વત-મકાનની વાત નથી. એ તો બધું જોઈએ જ છીએ. (આપણે) નરકમાં પડી ગયા? તો આ તો ઉપાસનાની વાત છે. ચીભડાના ચોરને ફાંસી ન મરાય. રાજાના દીકરાને મારે તેને ફાંસી. તે પુરુષોત્તમમાં જોડાયો હોય, પ્રસંગ હોય ને બીજે માથાં મારતો હોય તેની વાત છે. પતિવ્રતાપણાનું ઓછું થઈ ગયું. એકડિયા ભણતા હોય તેને મૅટ્રિકની પરીક્ષા ન સદે. મહારાજની સર્વોપરી ઉપાસનાની ગેડ બેસારવાની છે. રંગના ચટકાં હોય, કૂંડા ન હોય. મહારાજ સર્વોપરી, સર્વ અવતારના અવતારી છે. તેમાં જોડાઈ જવું ને બીજે સાંધો ન રાખવો. એ સમજવાનું છે. મહારાજની મૂર્તિ, તેના સંતો, તેનાં દર્શન, તેમાં હેત કરવું. પુરુષોત્તમ નારાયણનો એકડો આગળ રાખવો. પરાવાણીનું ચિંતવન કર્યા કરે તેને પદવી આપે. કાળ – જીવનો નાશ ન કરે. કર્મ – ઊંચ-નીચ ગતિ ન આપે. માયા – લીન ન કરી શકે. અક્ષરધામમાં જ બેઠા છે!”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૪૯]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ