વચનામૃત મહિમા
લોયા ૧૨
સં. ૧૯૧૯, કાળસરી ગામમાં ગુણાતીતાનંદ સ્વામી બે દિવસ રોકાયા. માધવચરણદાસજીએ લોયા ૧૨મું વચનામૃત વાંચ્યું. તે સાંભળી સ્વામીશ્રીએ કહ્યું, “આ વચનામૃતમાં કહ્યું છે તેમ સમજે જ છૂટકો છે.”
[અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ૨/૧૧૯]
એક જણે ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું જે, “વચનામૃતમાં ક્યાંક આશરાનું બળ કહ્યું છે, ક્યાંક ધર્મનું, ક્યાંક વૈરાગ્યનું, ક્યાંક આત્મનિષ્ઠાનું ને ક્યાંક પાછી તે આત્મનિષ્ઠા ઉડાડી નાંખી છે. એવાં કંઈક ઠેકાણે અનંત સાધન કહ્યાં છે; તેમાં એકને વિષે સર્વે આવી જાય ને ઉત્તમ મોક્ષ થાય એવું એક કહો.” એટલે સ્વામી કહે જે, “ઉપાસના હોય ને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય હોય તો બધાં આવે.”
યોગીજી મહારાજ કહે, “સોળ આની સત્સંગ શું? લોયા ૧૨ વચનામૃત સિદ્ધ કરે (તે).”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૫૬૦]
યોગીજી મહારાજ કહે, “લોયા ૧૨ પ્રમાણે છેલ્લો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થાય ત્યારે સત્સંગ જેવો છે તેવો થયો જાણવો.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૫૬૫]
યોગીજી મહારાજ કહે, “અષ્ટાવરણે સહીત કોટાનકોટી બ્રહ્માંડ જેનાં રોમરોમ પ્રત્યે ઊડતા ફરે છે, એવું પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ જે અક્ષર, તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમ નારાયણનું ભજન કરે, તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો ભગવદ્ભક્ત જાણવો. એમ લોયાના ૧૨ના વચનામૃતમાં કહ્યું છે. તે સિદ્ધ થાય તો બેડો પાર. આવો ભક્ત થાય તેની બધી વાત છે. તેવા સૌને બનાવવા છે. અક્ષરરૂપની ડીગ્રી આપવી છે.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૬૪૧]