કળશ ૫

વિશ્રામ ૭

પૂર્વછાયો

મહાપ્રભુ માંગરોળમાં, વસી પૂરો કર્યો પોષ માસ;

વસંતપંચમીનો ભલો, ત્યાં તો દિવસ આવ્યો પાસ. ૧

ચોપાઈ

માણાવદરના મેહેરબાન,1 ભલા ભૂપ ગજેફરખાન;

તેણે મોકલ્યા ભટ મયારામ, ગયા તે સાથે ગોવિંદરામ. ૨

ભક્ત પર્વત ને ભીમભાઈ, હરિભક્ત ચાલ્યા હરખાઈ;

સતસંગીનો થઈને સમાજ, ગયા કૃષ્ણને તેડવા કાજ. ૩

જૈને શ્રીજગજીવન પાસ, કરી પ્રેમથી વિનતિ પ્રકાશ;

માણાવદરમાં મહારાજ, કરો આવી વસંતનું કાજ. ૪

ત્યાં જ તેડી જવાને તમને, અવનીશ્વરે મોકલ્યા અમને;

સંત હરિજનને લઈ સાથ, નેહ લાવી પધારોને નાથ. ૫

માઘી પંચમીને દિન પ્રીતે, રંગખેલ કરો રુડી રીતે;

પછી લૈ સાથે સંતસમાજ, ગયા માણાવદર મહારાજ. ૬

ભટને ઘેર જૈ ભગવાને, કર્યો ઉતારો કરુણાનિધાને;

આવ્યો પંચમીનો દિન જ્યારે, થયો સારો સમૈયો તે ત્યારે. ૭

સારી અઠાવના તણી સાલે, કર્યો ઉત્સવ ત્યાં વૃષલાલે;

દેશદેશના હરિજન આવ્યા, ભલી ભેટ સામગરી લાવ્યા. ૮

પછી કેસર કેસુ2 પતંગ,3 રુડી રીતે રચાવિયા રંગ;

લાવ્યા ખૂબ અબીર ગુલાલ, પીચકારિયોનો તેવો તાલ. ૯

એક પાસે તો સંતસમાજ, બીજે પાર્ષદો ને મહારાજ;

મળી ખૂબ કર્યો રંગખેલ, ચારે પાસે ચાલી રંગરેલ. ૧૦

નાખ્યો ખૂબ ગુલાલ અબીર, પછી નાવા ગયા નરવીર;

નદી ક્ષારવતી લક્ષ્મી આરે, કર્યું સ્નાન ત્યાં ધર્મદુલારે. ૧૧

ભટની વાડી માંહી પધારી, કરી જગ્યા પ્રસાદીની સારી;

માણાવદરના શાહુકાર, નામ જાદવજી નિરધાર. ૧૨

તેણે રેશમની કોરવાળો, ધોતી જોટો જે રુડો રુપાળો;

ધર્મપુત્રની આગળ ધર્યો, ભલા ભાવ થકી ભેટ કર્યો. ૧૩

તેને દેખીને રઘુનાથદાસ, લેવા અંતરમાં કરી આશ;

ધોતી હરિવરે હાથમાં લીધી, ભટ બેયને બે વેંચી દીધી. ૧૪

મયારામ ને ગોવિંદરામે, લીધી સ્નેહે દીધી ઘનશામે;

દાસ રઘુનાથે ઇરષા આણી, તે તો સર્વે જનોયે જાણી. ૧૫

વૃષપુત્રે વિચારિયું ઊર, આને મોકલિયે ક્યાંઈ દૂર;

ક્લેશ વારે વારે ઉપજાવે, જાય તો સુખ સર્વને આવે. ૧૬

પછી બોલાવીને નિજ પાસ, કહ્યું સાંભળો રઘુનાથદાસ;

રામાનંદનો વિરહ સમાવા, સતસંગીને શાંતિ કરાવા. ૧૭

મુક્તાનંદ ગયા કચ્છ જેમ, તમે ગુજરાતમાં જાઓ તેમ;

હરિભક્તોને હરખ પમાડો, મોટું વિરહનું દુઃખ મટાડો. ૧૮

અતિ શ્રેષ્ઠ તે કામ ગણાય, તમ વગર બીજાથી ન થાય;

માટે અંતરે ઉત્સાહ લાવો, અમદાવાદ આપ સિધાવો. ૧૯

બોલ્યો રઘુનાથદાસ તે ઠામ, એવું હું જ કરી શકું કામ;

મુક્તાનંદ બિચારો શું કરશે? કચ્છમાં જઈને પાછો ફરશે. ૨૦

હું તો જૈને કરું એવી વાત, કરું વશ્ય આખી ગુજરાત;

એમ કહીને તે ત્યાંથી સિધાવ્યો, અમદાવાદમાં એ તો આવ્યો. ૨૧

કહે વર્ણી સુણો હે રાજાન, અભિમાની ધરે અભિમાન;

પણ શ્રીહરિ સાંખી રહે છે, સમો આવ્યે તેનું ફળ દે છે. ૨૨

ઉપજાતિવૃત્ત (હરિનું ધાર્યું થાય તે વિષે)

ધાર્યું બધું શ્રીહરિનું જ થાય, મનુષ્ય જાણે મુજથી કરાય;

ગાડાં તળે શ્વાન ગતિ કરે છે, તે માન મિથ્યા મનમાં ધરે છે. ૨૩

છે પ્રાણ નાડી પ્રભુને જ હાથ, સૌને નચાવે વળી વિશ્વનાથ;

અજ્ઞાની લોકો અભિમાન આણે, જથાર્થ શક્તિ હરિની ન જાણે. ૨૪

કરે અધર્મી અઘ જે અલેખે, શ્રીનાથ સાક્ષી થઈ સર્વ દેખે;

જ્યારે સમો તે ફળયોગ્ય આવે, ત્યારે જ તેનું ફળ તે અપાવે. ૨૫

ચોપાઈ

હતા જે સમૈયે જન આવ્યા, આપ આપને ઘેર સિધાવ્યા;

માણાવદરથી મહારાજ, ચાલ્યા સંતનો લઈને સમાજ. ૨૬

પીપલાણે જવાને સિધાવ્યા, નદી ઓઝતને તટ આવ્યા;

સંત આગળ તહાં શ્રીહરિ, એક વાત એવી રીતે કરી. ૨૭

રામાનંદસ્વામી ઘણી વાર, નાહ્યા છે તે આ નદી મોઝાર;

અમે પણ ઘણી વાર ઉમંગે, કર્યું છે આમાં મજ્જન4 અંગે. ૨૮

રામાનંદને અમે આ ઠાર, પ્રશ્ન પૂછ્યો તેનો કહું સાર;

કાં તો સદ્‌ગુરુ કે ભગવાન, દે છે કલ્યાણદાન નિદાન. ૨૯

કહો તેમાં તમે છો જ કેવા? જાણે સર્વ જથારથ જેવા;

સુણી બોલ્યા નહી કાંઈ સ્વામી, દૃષ્ટિ દઈ પરવતભાઈ સામી. ૩૦

વાણી મર્મમાં એવી ઉચ્ચારી, જ્યારે થાય ઉદય તિમિરારી;5

પડે ચંદ્રનો ઓછો પ્રકાશ, સુણી સમજ્યા મરમ હરિદાસ. ૩૧

ચંદ્ર જેવા રામાનંદસ્વામી, સૂર્ય જેવા આ અક્ષરધામી;

જ્યાં સુધી રવિ ઉદય ન થાય, ચંદ્ર સર્વોપરી જ જણાય. ૩૨

રામાનંદ હતા ભગવાન, થયા સદ્‌ગુરુ શ્રેષ્ઠ સમાન;

એમ સમજીયા સૌ હરિદાસ, એવી વાત કરી અવિનાશ. ૩૩

પછી સંત સહિત સુખરાશી, નાયા ઓઝતમાં અવિનાશી;

કરી નિત્યક્રિયા સૌ સંતે, વળી પોતે કરી ભગવંતે. ૩૪

મે’તા નરસિંહને ઘેર જૈને, ઉતર્યા હરિ હર્ષિત થૈને;

સર્વ ભક્તને સુખ દઈ ભારી, માંગરોળ પધાર્યા મુરારી. ૩૫

પૂર્વછાયો

હરિયે ત્યાં જ હુતાશનીનો, ઉત્સવ કીધો અનૂપ,

તેમ જ ત્યાં રહીને કરી, રુડી રામનૌમી સુખરૂપ. ૩૬

અક્ષય તૃતીયા એ પછી, નરસિંહ ચતુર્દશી નામ;

ભીમ એકાદશી પણ ભલી, જળજાત્રા ઉત્સવ અભિરામ. ૩૭

ચોપાઈ

એવા ઉત્સવ ઉપર ભાવે, દેશ દેશના હરિજન આવે;

ઉષ્ણ કાળ તે આકરો બાણ, પડી પાણીની ત્યાં ઘણી તાણ. ૩૮

તપે સૂર્ય ઘણો તાપ પડે, પાણી પીવા પુરું નવ જડે;

દીઠી પાદર વાપિકા6 એક, બહુ જૂની પુરાયેલી છેક. 7 ૩૯

તેહ ખોદાવવા ઉર ધારી, રાજા આગળ વાત ઉચ્ચારી;

કહે કૃષ્ણ ઘણા સંઘ આવે, જળ વગર કેમ અહીં ફાવે? ૪૦

વારી વગર વિપત્તિ પડે છે, જળ તો ઘણું દૂર જડે છે;

માટે તરત રજા આપો તમે, તો આ વાવ્ય ખોદાવિયે અમે. ૪૧

સુણી બોલિયા વજરુદીન, હું છું આપ તણો જ આધીન;

કરો આજ્ઞા તો વાવ્ય ખોદાવું, કહો તો પાણી હું પોંચાડાવું. ૪૨

સુણી બોલિયા શ્રીભગવાન, અહીં કરવું છે તીરથ સ્થાન;

કરે શ્રમ સહુ સંતનો સાથ, ગાળ કાઢું વળી મારે હાથ. ૪૩

હરિભક્ત કરે કામ જ્યારે, તીર્થ થાય પવિત્ર તો ત્યારે;

મોટો આ ભૂમિનો મહિમાય, વધે તે કરવો છે ઉપાય. ૪૪

એવો કીધો છે સંકલ્પ અમે, માટે તરત રજા આપો તમે;

બોલ્યા ભૂપ સુણી તેહ ટાણે, કરો આપની ઇચ્છા પ્રમાણે. ૪૫

ધન્ય ધન્ય તમે મહારાજ, પ્રભુ પ્રગટ્યા અમારે કાજ;

મારી ભૂમિનાં ભાગ્ય અપાર, થશે વિખ્યાત વિશ્વ મોઝાર. ૪૬

થશે આ સ્થળે તીરથ સ્થાન, ભલો જાણીશ હું ભાગ્યવાન;

સારા શબ્દ સુણી હરિ આવા, વાવ્ય માંડી તે તરત ખોદાવા. ૪૭

સતસંગી કરે સઉ કામ, કરે કામ ત્યાં શ્રીઘનશામ;

ભક્ત દેશી તથા પરદેશી, બાઈ ભાઈ રહે નહીં બેસી. ૪૮

હરિભક્ત હજારો હજાર, ગાળ કાઢે કહે જેજેકાર;

સંતો અષ્ટક કીર્તન ગાય, જન જોવા હજારો ભરાય. ૪૯

સુખ પામ્યો સુણી શેષનાગ, ભલાં જાણ્યાં પોતા તણાં ભાગ્ય;

જેને સેવે છે સુરપતિ જેવા, પ્રભુ લાગ્યા તે ટોપલી લેવા. ૫૦

એવી લીલા જોવા તેહ સ્થાન, છાયાં વ્યોમમાં દેવ વિમાન;

દશ દિવસ કર્યું કામ જ્યારે, વારી વાવ્યમાં આવ્યું તે વારે. ૫૧

મિષ્ટ જળ સુરસરિતા8 સમાન, કર્યું શ્રીહરિયે તેમાં સ્નાન;

વિપ્ર વેદિયા બોલાવી પ્રીતે, પૂર્તકર્મ કર્યું રુડી રીતે. ૫૨

દ્વિજને ત્યાં ચતુર્ભુજરૂપે, દીધું દર્શન વૃષકુળભૂપે;

કરી વેદના મંત્ર ઉચ્ચાર, પૂજ્યા વિપ્રોયે વિશ્વઆધાર. ૫૩

પછી બ્રાહ્મણોને રુડી રીત, દીધાં ભોજન ભાવ સહિત;

જમ્યા વિપ્ર હજારો હજાર, નાનાં મોટા પુરુષ અને નાર. ૫૪

ઘણા પર્ચા દેખાડીને આપ, કર્યો પ્રગટ તે પ્રૌઢ પ્રતાપ;

એવી અદ્‌ભુત વાત સાંભળી, જુદા મતના જનો આવ્યા મળી. ૫૫

કહે છો તમે સમરથ સારા, ઇષ્ટ દેખાડો અમને અમારા;

સુણી વિનતિ તે વૃષકુળભૂપે, દીધાં દર્શન ઇષ્ટ સ્વરૂપે. ૫૬

વલ્લભી માધવી નિમાનંદી, સંપ્રદાયના જન જુવે વંદી;

જાણે સાક્ષાત છે ગોપીનાથ, હેતે વાંસળી લીધી છે હાથ. ૫૭

રામાનુજ મતના હતા જેહ, દેખે લક્ષ્મીનારાયણ તેહ;

રામાનંદી હતા તેહ ઠામ, તેણે દીઠા સીતા સહ રામ. ૫૮

હતા વેદાંતી શંકરવાળા, તેણે બ્રહ્મજ્યોતીરૂપે ભાળ્યા;

જેને શિવની ઉપાસના હતી, તેણે તો દીઠા પાર્વતી પતી. ૫૯

ભાનુભક્તોયે ભાળ્યા દિનેશ, ગણનાથના ભક્તે ગણેશ;

દેવી દેખે દેવીભક્ત જેહ, જૈનિ તો તીરથંકર તેહ. ૬૦

હતા યવન જે સદગુણી શાણા, તેણે પ્રગટ પેગંબર જાણ્યા;

જોઈ નિજ નિજ ઇષ્ટસ્વરૂપ, થયા સૌ સતસંગી હે ભૂપ. ૬૧

અવતાર તણા અવતારી, જાણ્યા તે શ્રીહરિ બ્રહ્મચારી;

પછી પોતે પોતા તણે ઘેર, ગયા સૌ જન તે શુભ પેર. ૬૨

પુષ્પિતાગ્રાવૃત્ત

પુર પુર પ્રસરી સુવાસ એહ, પ્રગટ થયા પ્રભુ અક્ષરેશ જેહ;

સુણી જન શરણે અસંખ્ય આવે, દુરિત સમસ્ત દયાનિધિ શમાવે. ૬૩

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પંચમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિમાંગરોળપુરે વાપિકાખનનનામા સપ્તમો વિશ્રામઃ ॥૭॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે