વિશ્રામ ૨૧
પૂર્વછાયો
સાત શાણા સતસંગીને, રામાનંદે પૂછી જે વાત;
ઉત્તર આપ્યા અનુક્રમે, તે સુણો અભેસિંહ ભ્રાત. ૧
ચોપાઇ
બોલ્યા પ્રથમ તો ભટ મયારામ, જહાં આદરિયે મોટું કામ;
ત્યાંના રાજાની લઇયે સહાય, સારો પ્રથમ તો એ જ ઉપાય. ૨
નૃપનું મન હોય જો ખોટું, તો ત્યાં કામ આદરિયે ન મોટું;
ચોકીપેરા1 તણો બંદોબસ્ત,2 તે તો રાજાનું કામ સમસ્ત. ૩
જગ્યા જોઈએ વાવરવાને ઘણી, તે તો આપે તે ગામનો ધણી;
તંબુ રાવટિયો3 અને દેરા, આપે એવા એ બાબ4 ઘણેરા. ૪
હોય અધિપતિ જો અનુકૂળ, મહાસુખનું તે જાણવું મૂળ;
પુરપાળને પ્રથમ બોલાવો, આગેવાન તો એને ઠરાવો. ૫
કર્મકાંડી દ્વિજોને તેડાવો, માંડવાનું મુહૂર્ત કરાવો;
વિપ્ર વરુણ કરીને બેસારો, જપે જપ જેમ શાસ્ત્રનો ધારો. ૬
સતસંગી સારા સારા જેહ, તેડાવો ને આગળથી જ તેહ;
તેને માટે કરાવા રસોઈ, તેડાવો વળી બાઇયો કોઈ. ૭
મને જે જે ભળાવશો કાજ, તે હું તરત કરું મહારાજ;
તન તમ અરથે જ છે ધર્યું, કદી આળસ અલ્પે ન કરું. ૮
મયારામજીની સુણી વાત, રામાનંદ થયા રળિયાત;
કહ્યું ભટ છો તમે ધન્ય ધન્ય, તમે તો સતસંગી અનન્ય. ૯
પછી બોલિયા પર્વતભાઈ, સુણો વાત અહો સુખદાઈ;
ઘણા સામાનના ગંજ હોશે,5 ઘણાં ગાડાં ને બુંગણ જોશે. ૧૦
આસપાસના ગામમાં જૈને, કહો તો લાવું તત્પર થૈને;
બધા સંઘ જમાડવા સારુ, ઘૃત લાવિયે જઈને ઘરારુ.6 ૧૧
મારું તન મન ધન છે જેહ, તમને અરપણ કર્યું તેહ;
સ્વામી ચિંતા ન ધરશો ચિત્ત, ખરી વાત કહું છું ખચીત. ૧૨
રામાનંદ કહે હરખાઈ, ધન્ય ધન્ય છો પર્વતભાઈ;
જેમ પર્વત અચળ ગણાય, તેમ અચળ તમે ભક્તરાય. ૧૩
ભીમભાઈ બોલ્યા ધરી ભાવ, કરો આપણે એવો ઠરાવ;
હરિજન જે રહે છે આ ગામ, તેને સોંપો જુદાં જુદાં કામ. ૧૪
પોતપોતાના કામમાં ચિત્ત, તેથી રાખશે સર્વ ખચીત;
ગાદલાં ગોદડાં ને પલંગ, જોશે એવાં તો અગણિત નંગ. ૧૫
ગામોગામથી લાવવાં પડશે, જઈ લાવિયે તો ઘણાં જડશે;
સતસંગી સરવ છે એવા, અતિશે જ વખાણવા જેવા. ૧૬
આપ જે જે બતાવશો કામ, તે તો કરશે તરત તે ઠામ;
અમે પણ રહી આપની પાસ, કામમાં નહિ કરિયે કચાશ. ૧૭
તમ અર્થે ધર્યો છે આ દેહ, એમાં લેશ નથી જ સંદેહ;
સુણી સ્વામી બોલ્યા કરી હાસ, ભીમભાઈ તમોને સાબાશ. ૧૮
તમે છો અતિ ઉત્તમ ભક્ત, દેહ ગેહ7 થકી છો વિરક્ત;
આવા ઉત્સવમાં ઠામ ઠામ, તમ જેવાનું પડશે જ કામ. ૧૯
બોલ્યા શેઠ ત્યાં ગોવરધન, ભાત ભાતનાં લાવિયે અન્ન;
લાવી ભરિયે મોટા કોઠાર, નવ ખરચતાં ખૂટે લગાર. ૨૦
ખાંડ સાકર ને ઘૃત ગોળ, ખૂબ લાવિયે તે કરી ખોળ;
આપ મોકલો ત્યાં મારે જાવું, જૈને લંકા થકી માલ લાવું. ૨૧
સસ્તો ને સારો લાવીશ માલ, નહીં કરું કોઈને દલાલ;
માલ વધશે તે તો વેચી દેશું, ઘણો લાભ તેમાંથીયે લેશું. ૨૨
અમે વાણિયા એવું આદરિયે, મળે લાભ તેવું કામ કરિયે;
કરકસરથી કરિયે કામ, સારું દિસે ને ઉગરે8 દામ.9 ૨૩
માલ બગડે નહીં તલભાર, એવી રાખીશ ખબર અપાર;
લખી રાખવા ખર્ચ પેદાશ, લખનારા રાખીશ મુજ પાસ. ૨૪
રામાનંદજી બોલ્યા વચન, શેઠ ગોવરધન તમે ધન્ય;
ધન્ય ધન્ય છે બુદ્ધિ તમારી, તમે આપી સલાહ છે સારી. ૨૫
પછી બોલિયા હીરજીભાઈ, સુણો સદ્ગુરુજી સુખદાઈ;
રાજરીતિ તો હું કાંઈ જાણું, આવ્યું ઉપયોગ કરવાનું ટાણું. ૨૬
જન આવશે આબરુદાર, તેની સરભરા હું કરનાર;
સારા સારા ઉતારા શોધાવો, કેને ક્યાં દેવો તેહ ઠરાવો. ૨૭
કેમ કરવું કેનું સનમાન, તેનું છે મને પૂરણ જ્ઞાન;
રાખી જાણું છું હું સૌને રાજી, તજો ચિંતા તે માતપિતાજી. ૨૮
ભૂખ તરશનું ભૂલીને ભાન, એ જ કામમાં રાખીશ ધ્યાન;
સુણી બોલ્યા ગુરુ સુખદાઈ, ધન્ય ધન્ય છો હીરજીભાઈ. ૨૯
ભલે બુદ્ધિ દયાળુયે દીધી, તમે આજ સુફળ સર્વ કીધી;
રામદાસજી બોલિયા વાણી, મારી વાત સુણો સ્નેહ આણી. ૩૦
ઘણો આવશે સંત સમાજ, કૈંક કરશે તે મન ધરી કાજ;
સદગુરુઓ દેશે ઉપદેશ, તેથી સતસંગ વધશે વિશેષ. ૩૧
થશે આસન તે કિયે ઠાર, કરી રાખવો તે નિરધાર;
કહો ભંડાર તે ક્યાં કરાશે? મોટી પંગતો તે ક્યાં સમાશે? ૩૨
દિસે શ્રદ્ધા જે સાધુની સારી, કરો એવા ભલાને ભંડારી;
મતવાદીયો પૂછશે આવી, દેશું તેને અમે સમજાવી. ૩૩
વળી આપની આજ્ઞા પ્રમાણે, કરશું અમે કામ તે ટાણે;
તજ્યો છે અમે સંસાર જેહ, તમને રાજી કરવાને તેહ. ૩૪
રામાનંદ બોલ્યા કરી હાસ, ધન્ય ધન્ય તમે રામદાસ;
તમે અક્ષરધામના મુક્ત, તમે છો મહા ઐશ્વર્ય યુક્ત. ૩૫
મુક્તાનંદ કહે મહારાજ, મારી વાત સુણો હવે આજ;
મોટા મોટા હરિભક્ત જેહ, રાખો પ્રથમ તેડાવીને તેહ. ૩૬
ઉપજાતિવૃત્ત (અંગના માણસો વિષે)
જે કામમાં હોય મનુષ્ય સારાં, તે કામ તો સિદ્ધ સદા થનારાં;
ખામી જણાવા કશિયે ન દેય, સારા જનો ઢાંકણરૂપ છેય. ૩૭
સ્વદેહને તોડી કપાસ જેમ, સદૈવ ઢાંકે પરકાય તેમ;
સારા જનો સંકટ આપ પામી, ઢાંકે સદાકાળ પરાઈ ખામી. ૩૮
સામાન જો હોય કદી અમાપે, તથાપિ નાદાન10 અકીર્તિ આપે;
સામાનની જો કદી ખોટ આવે, સારા જનો સારું કરી બતાવે. ૩૯
સ્વઅંગનાં માણસ જો ન હોય, ન કીર્તિ આવે ધન હોય તોય;
ભલે ઘણેરાં ખરચે જ દામ, ન થૈ શકે મોટું કદાપિ કામ. ૪૦
નાણાં વડે શત્રુ નહીં જીતાય, નાણાં વડે રાજ્ય નહીં રખાય;
કરી શકે યજ્ઞ નહીં જ કોય, સ્વઅંગનાં માણસ જો ન હોય. ૪૧
બીજા જનો ભોજન કાજ આવે, જમી રમીને સુખથી સિધાવે;
તેના થકી કામ નહીં કરાય, સ્વઅંગના માણસથી જ થાય. ૪૨
વિવાહ કાળે સમશાન કાળે, મોટે વરે11 કે રિપુ12 વેર વાળે;
થૈ અંગપીડા અતિ જેહ ઠામ, ત્યાં અંગના માણસનું જ કામ. ૪૩
ચોપાઇ
માટે સત્સંગી જે સારા સારા, પ્રીતિ તમમાં પુરી રાખનારા;
ધર્મવાળા ને વિશ્વાસયોગ, જેને આળસનો ન સંયોગ. ૪૪
વ્યવહારમાં ધર્મમાં ડાહ્યા, હોય આબરુદાર ગણાયા;
એવા એવાની ખોળ કરાવો, તેને આગળથી જ તેડાવો. ૪૫
મુક્તાનંદની સાંભળી વાણી, રામાનંદ બોલ્યા હેત આણી;
સ્વામી બુદ્ધિ તમારી છે ધન્ય, તમ જેવા ડાયા નહિ અન્ય. ૪૬
સર્વ સંતમાં મુખ્ય છો તમે, એવું અંતરે જાણિયે અમે;
વળી બોલ્યા ગોવર્ધનભાઈ, કહું નામ વણિકનાં હું ગાઈ. ૪૭
એટલા સતસંગી જો આવે, સીધું સામાન તો સદ્ય લાવે;
માંગરોળમાં કેવળરામ, માવજી તથા વાસણ નામ. ૪૮
દેવકરણ તથા રામચંદ્ર, મૂળચંદ નથુ સૂરચંદ;
દામોદર હરજી ને મેઘજી, કુરજી તથા જાણો રતનજી. ૪૯
માણાવદરના શેઠ ભાણો, બીજા જાદવજી એક જાણો;
પરશોતમ પોરબંદરના, બીજા તો બાલાગામ અંદરના. ૫૦
જેનું આણંદજી એવું નામ, નાંયો શેઠ છે અજાવ્ય ગામ;
ઝાંઝમેરમાં ખીમજી જેઠો, પાડોદરમાં ઓધવજી છે બેઠો. ૫૧
કાળવાણીમાં જેઠો ને ઘેલો, જીવરાજ વળી છે રહેલો;
જુનાગઢમાં છે વીરજી જેહ, ચાંપશી ને મંગળજી તેહ. ૫૨
જાળીયાના અમરશી જાણો, ડેરડીના લાધો પરમાણો;
વળી ખીમો ને રૂપશી ત્યાં છે, શેઠ રાઘવ ગોંડળમાં છે. ૫૩
ધારીમાં ધનો ઉદ્ધવ રહે, નાથો વસતો જીરામાં કહે;
ગુંદાળાના આણંદજીભાઈ, બીજા કર્મશીની છે ભલાઈ. ૫૪
જૂઠો ડોસો તથા હંસરાજ, ગામ બંધિયામાં વસે આજ;
કહ્યાં બીજાનાં પણ બહુ નામ, આવે એટલા તો સરે કામ. ૫૫
વસ્તુ વેચાતી તે લાવી જાણે, તેને વેપારી સર્વે વખાણે;
એ તો મોટા છે આબરુદાર, વળી સત્ય ધરમ ધરનાર. ૫૬
પછી તેઓને તેડવા કામ, મુક્યાં માણસ તે ગામોગામ;
પછી બોલિયા પર્વતભાઈ, રામાનંદ સુણો સુખદાઈ. ૫૭
કણબી વિના પૈડું ન રડે,13 કામ કણબી વડે પાર પડે;
બીજા હારીને બેસે જે ઠામ, કણબી તે કરી શકે કામ. ૫૮
પુષ્પિતાગ્રાવૃત્ત
સુણ નરપતિ રાજનીતિવેત્તા, કણબી પવિત્ર જહાં જહાં રહેતા;
પરવત ઉચર્યા સુનામ જેહ, પુનિત કથા તુજને કહીશ તેહ. ૫૯
ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિપટ્ટાભિષેકારંભનામા એકવિંશતિતમો વિશ્રામઃ ॥૨૧॥