કળશ ૨

વિશ્રામ ૧૨

 

પૂર્વછાયો

વર્ણી કહે નૃપ સાંભળો, કહું શ્રીહરિકૃષ્ણચરિત્ર;

સાંભળતાં સુખ ઊપજે, અને તન મન થાય પવિત્ર. ૧

ચોપાઈ

કહી પાંચ વરસની વ્યવસ્થા, અને ઉતરી કુમાર અવસ્થા;

છઠ્ઠા વર્ષનો આરંભ થાય, વય પૌગંડ તે કહેવાય. ૨

શુદિ વૈશાખી બીજ ગણાઈ, ત્યારે જન્મ્યા ઇચ્છારામ ભાઈ;

ગુણે જાણિયે પ્રદ્યુમ્ન જેવા, અતિ સમરથ પણ તે એવા. ૩

એની વાત પછી ઉચરીશ, હવે કૃષ્ણચરિત્ર કહીશ;

બાલરૂપ દિસે બળવંત, ગુણ ઉત્તમ ગણતાં અનંત. ૪

દેવમંદિર જ્યાં કહેવાય, હરિ ત્યાં નિત્ય દર્શને જાય;

દેખી શ્રીહરિને તે સદાય, દેવપ્રતિમા પ્રસન્ન જણાય. ૫

જ્યાં જ્યાં જાય હરિ તતખેવ, ધન્ય ભાગ્ય ગણે સહુ દેવ;

તેના પૂજક પણ રાજી થાય, હરિરૂપમાં ચિત્ત ચોરાય. ૬

ફળ ફૂલ આપે લલચાવા, જાણે નિરખીયે આવા ને આવા;

પળ એક વિયોગ ન ઇચ્છે, પ્યારા પ્રાણ બરાબર પ્રીચ્છે.1

દેવદર્શને આવેલા લોક, જોવા ઉભા રહે થોકેથોક;2

જેમ જોઈ રહે ચંદ્ર ચકોર, એવી મૂર્તિ દિસે ચિત્તચોર. ૮

ચાલે ઉતાવળા ઘનશ્યામ, જાણે કરવાં ઘણાં હોય કામ;

વળી કોઈ કવિ કહે એમ, ચિત્તચોર ઉભો રહે કેમ. ૯

ઊંડો મર્મ તો કોઈ પ્રમાણે, બીજા ચાલ સ્વભાવિક જાણે;

જ્યાં જ્યાં બેસે જઈ હરિરાય, જોવા લોકોની ભીડ ભરાય. ૧૦

હોય ચિત્રમાં ચિતર્યાં જેમ, જોવા હરિને ઉભાં રહે તેમ;

જ્યારે ચૌટામાં3 ચાલે મુરારી, સર્વ જોઈ રહે છે વેપારી. ૧૧

રહે ત્રાજવાં હાથમાં ઝાલી, ચાલતા જન નવ શકે ચાલી;

ભૂલે ધારણ તે તોળનારા, ઘાટ ઘડવો ભૂલે ઘડનારા. ૧૨

નામું લખનારા ભૂલે છે નામુ, સર્વ જોઈ રહે હરિ સામું;

જાય પનઘટ4 પર અઘહારિ, દેખિ ભાન ભૂલે પાણિયારી. ૧૩

કોઈ એક ઘડો શિર ધારી, બીજો ભૂલીને ચાલે બિચારી;

કહે એક બીજીને આ ભાળો, કેવો દિસે છે કુંવર રૂપાળો. ૧૪

જાય સર્જુ તટે ઘનશામ, મળે પંડિત જોવા તે ઠામ;

કરે કલ્પના કોટિ પ્રકાર, કહે વિષ્ણુ તણો અવતાર. ૧૫

કહે કોઈ આ તો ધર્મરૂપ, કહે કોઈ આ કૈલાસ ભૂપ;

કહે કોઈ આ સાક્ષાત જ્ઞાન, કાં તો વૈરાગ્ય છે મૂર્તિમાન. ૧૬

કહે કોઈ તપે દેહ ધાર્યો, કાં તો સાક્ષાત વેદ પધાર્યો;

એમ આપે જુદા અભિપ્રાય, પ્રભુ કોઈ થકી ન કળાય. ૧૭

કહે કોઈક મનમાં તપાસી, આણે ઘેલાં કર્યાં પુરવાસી;

જેમ ચમક ભણી ચળે5 લોહ, તેમ જનમન પામે છે મોહ. ૧૮

જાણે ઘરનો ધંધો દૈયે છોડી, દૃષ્ટિ એમાં જ રાખિયે જોડી;

વિદ્યા ભણવી ભૂલ્યા ભણનારા, વસ્ત્ર વણવા ભૂલ્યા વણનારા. ૧૯

સોની ઘડવા ભૂલ્યા ભલા ઘાટ, એ જ વાત ચાલી હાટોહાટ;6

ધર્મદેવના આંગણામાંય, ભીડ માણસની ન સમાય. ૨૦

જોવા શ્રીહરિનું મુખ આવે, પણ બાનાં તો બીજાં બતાવે;

દીવો કરવા મિશે7 કોઈ બાઈ, ત્રીજે પોર8 આવે તહાં ધાઈ. ૨૧

ભક્તિમાતા કહે અરે ઘેલી, કેમ આવિ સંધ્યાકાળ પહેલી;

કહે કોઈ આવું ગાય દોવા, જાય એવે મિશે પ્રભુ જોવા. ૨૨

કોઈ આવે છે પૂછવા વાત, એવે બાને જુએ નરભ્રાત;

હરિરૂપમાં રહે ગુલતાન, નવ ભાવે ભોજન ને પાન. ૨૩

દેવતાઓ કહે તે તપાશી, ધન્ય ધન્ય અવધપુરવાસી;

એના પુણ્ય તણો નહિ પાર, જુવે દિન દિન જગદાધાર. ૨૪

પૂર્વછાયો

વર્ણી કહે વસુધાપતિ,9 સુણો અદભુત લીલા એક;

રામપ્રતાપજી ભાઈને, દેખાડ્યાં રૂપ અનેક. ૨૫

તે લીલા તમને કહું, એ તો દિવ્યચરિત્ર ગણાય;

જે સુણતાં જન જાતિને, અતિ અચરજ એહ જણાય. ૨૬

એક દિવસે સંધ્યા સમે, હરિદર્શન કરવા કાજ;

ગયા પછી ઘણીવાર થઈ, ઘેર આવ્યા નહીં મહારાજ. ૨૭

માતાએ રામપ્રતાપને, કહ્યું રાત વિતી એક જામ;10

ઘોર અંધારું થયું ઘણું, કેમ આવ્યા નહીં ઘનશ્યામ? ૨૮

જે છે ઉપદ્રવ અસુરનો, તે તો તમે જાણો છો વીર;

શોધી લાવો ઘનશામને, હું તો ધરી શકું નહિ ધીર. ૨૯

મણિધરે11 કદી મણિ થકી, પળ એક જુદાં ન પડાય;

જળથી જૂદી માછલી, પડી તરફડી જીવ જાય. ૩૦

શ્રીઘનશામને નિરખતાં, આડી પાંપણો આવી જાય;

ત્યારે કહું કરતારને, નથી ચતુર તું બ્રહ્માય. ૩૧

નેણનો તારો માહરો, વળી મુજ હૈયાનો હાર;

તે ઘનશામ શોધીને, તમે તેડી લાવો આ વાર. ૩૨

તે સુણી રામપ્રતાપજી, તેનો કરવા ચાલ્યા તપાસ;

જોઈ જઈ હનુમાનગઢિ, ત્યાં દિઠા શ્રીઅવિનાશ. ૩૩

કથા રામાયણ તણી, ત્યાં વંચાતી હતી તે વાર;

સાંભળવા શ્રોતા થઈ, બહુ બેઠાં હતાં નરનાર. ૩૪

ભાઈ કહે ભગવાનને, ઘેર માતા જુએ છે વાટ;

અત્યાર સુધી ન આવિયા, તેથી અતિ કરે છે ઉચાટ. ૩૫

ક્યારે આવ્યા છો અહિં તમે? એમ પૂછ્યું જેણીવાર;

સંધ્યા સમયના છે અહીં, એમ બોલ્યાં સૌ નરનાર. ૩૬

સ્નેહે કહે ઘનશામજી, જે જે દેવનાં દરશન કાજ;

નિત્ય નિયમ રાખ્યો તમે, જઈ આવો વળી અહિંયાંજ. ૩૭

એટલામાં તો થઈ જશે, આ પુરો કથાનો પ્રસંગ;

ઘેર જશું માતા કને, આપણે મળી બે સંગ. ૩૮

પછી તે રામપ્રતાપજી, ગયા ધરી હરિનું ધ્યાન;

રત્નસિંહાસન નામનું, શુભ જ્યાં છે દેવ સ્થાન. ૩૯

ત્યાં પણ શ્રીમદભાગવત, વંચાતું હતું તે વાર;

બેઠા દીઠા ઘનશામજી, વળી બીજાં ઘણાં નરનાર. ૪૦

પૂછે રામપ્રતાપજી, અહીં ક્યારે આવ્યા મહારાજ?

સંધ્યા સમયના છે અહીં, એમ બોલ્યો સકળ સમાજ. ૪૧

વિસ્મિત થઈને વિચારમાં, પડ્યા રામપ્રતાપજી ભ્રાત;

આ તે સ્વપન ભાસે મને, કે જાગ્રતની હશે વાત. ૪૨

ઘેર ચાલો ઘનશામજી, કહે રામપ્રતાપજી વેણ;

જઈ આવો બીજે દર્શને, એમ શામ બોલ્યા સુખદેણ. ૪૩

રામપ્રતાપજી પછી ગયા, નામે કોપભુવન સુરસ્થાન;

એક પગે ઉભા હરિ, ત્યાં તો મંત્ર જપે ધરી ધ્યાન. ૪૪

ક્યારે અહિં આવ્યા હરિ? એમ પૂછી લોકને વાત;

સંધ્યા સમયના છે અહીં, એમ કહે સૌ જનજાત. ૪૫

વિચર્યા એમ વીશ મંદિરે, દિઠા સર્વ સ્થળે હરિરાય;

અચરજ ઉરમાં ઉપજ્યું, તે તો વરણવ્યું નવ જાય. ૪૬

રામપ્રતાપે વિચારિયું, જાઉં હનુમાનગઢી મોઝાર;

ત્યાં શ્રીહરિ છે કે નહીં, તેનો નિશ્ચય કરું નિરધાર. ૪૭

જ્યારે જોયું વળી ત્યાં જઈ, ત્યાં તો દીઠા જગદાધાર;

રામપ્રતાપજી ભાઈએ, ત્યારે કીધો ચિત્ત વિચાર. ૪૮

અક્રૂરને જમનાજીમાં, દીધાં દર્શન જુગમ સ્વરૂપ;12

અનેક રૂપે નારદે, દિઠા દ્વારામતિના ભૂપ.13 ૪૯

એ જ રીતે કરુણા કરી, મુજ ઉપર કૃષ્ણ કૃપાળ;

અનેક રૂપે આપ થઈ, દીધાં દર્શન મુજને દયાળ. ૫૦

ભાળી મોટાભાઈને, ઘનશામ કહે શુભ પેર;

કથાપ્રસંગ પૂરો થયો, હવે ચાલો જૈયે નિજઘેર. ૫૧

ભાઈ બંને નિજ ભવનમાં, ત્યાંથી આવ્યા રૂડી રીત;

ભક્તિમાયે ભગવાનને, ચાંપ્યા છાતિમાં પ્રીત સહીત. ૫૨

દીધો વળી ઠપકો ઘણો, સુણો લાડકવાયા લાલ;

રાત વેળાના એકલે, ક્યાંઈ જાવું નહીં કોઈ કાળ. ૫૩

ઘણો ઉપદ્રવ અસુરનો, આજ દિસે અયોધ્યામાંય;

વેળાસર ઘેર આવવું, રાતે રોકાવું નહિ ક્યાંય. ૫૪

ચાર ઘડી14 રજની15 જતાં, કદી જો નહિ આવો કુમાર;

ઘરમાં નહિ દઉં પેસવા, નહિ ઉઘાડું ઘરનાં દ્વાર. ૫૫

એમ કહિને કુંવરને, વાળુ16 કરાવિયું તે વાર;

પછી પલંગે પોઢાડિયા, જગજીવન જગદાધાર. ૫૬

પછી પરીજન17 આગળે, બેસી રામપ્રતાપજી ભ્રાત;

બહુરુપે દર્શન થયાં, તે વાત કરી વિખ્યાત. ૫૭

તે સુણતાં જન સર્વને, અતિ અચરજ ઉપજ્યું ઉર;

સૌએ શ્રીઘનશામને, પુરુષોત્તમ જાણ્યા જરૂર. ૫૮

વળતી18 હરિયે વિચારિયું, મને જાણશે જો સર્વેશ;

તો સુખ પુત્રપણા તણું, નહિ લઈ શકે લવલેશ. ૫૯

પછી કર્યો પરમેશ્વરે, નિજ માયાનો વિસ્તાર;

ભુલી ગયાં દિવ્ય ભાવને, સૌ માત પિતા પરિવાર. ૬૦

બીજે દિને પણ રાત્રીયે, આવ્યા મોડા શ્રીમહારાજ;

માતાને વિનતી કરી, દ્વાર ઉઘાડવાને કાજ. ૬૧

પ્રેમવતી પણ પ્રેમથી, કહે કોણ બોલે છે બાર?

જામની19 જામ વિતી ગઈ, કોઈ હશે ચોર ચખાર. ૬૨

શ્રીહરિયે સંભળાવિયાં, નિજનામ ત્યાં રુડી રીત;

વક્ત્રોક્તિમાં20 વાળિયા, માયે ઉત્તર પ્રીત સહીત. ૬૩

શાર્દૂલવિક્રીડિતવૃત્ત

માતા હું ઘનશ્યામ21 તો વન વિષે જૈ સારી વૃષ્ટિ કરો,

માતા હું નિલકંઠ22 તો ગિરિ ચઢી ઊંચે સ્વરે ઉચ્ચરો;

માતા હું હરિકૃષ્ણ23 સિંહ કદીયે કાળો ન ભાળ્યો અમે,

માતા હું વૃષપુત્ર ધુર્વૃષનિ24 તો ધારો જઈને તમે. ૬૪

હું છું ધર્મતનૂજ25 પુત્ર ન હતો તે ભીમના ભાઈને,

માતા હું હરિ26 છું વસો સ્વરગમાં તો ચિત્તમાં ચાઈને;

હું છું ભક્તિતનૂજ ભક્તિ સુત તો વૈરાગ્ય ને જ્ઞાન છે,

વક્ત્રોક્તિ સુણી સ્નેહયુક્ત હૃદયે રીઝ્યા કૃપાવાન છે. ૬૫

પુષ્પિતાગ્રાવૃત્ત

પછી ઉઠી જનની ઉઘાડી દ્વાર, નિજ ઉર સાથ લગાવીને કુમાર;

લઈ નિજ ઘરમાં કરાવ્યું વાળું, ચિતવન યોગ્ય ચરિત્ર આ રુપાળું. ૬૬

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દ્વિતીયકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિ અનેકરૂપદર્શનનામા દ્વાદશો વિશ્રામઃ ॥૧૨॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે