અમૃત કળશ: ૩૩
પ્રકીર્ણ
નાસ્તિક થઈ ગયા છે તેમણે તો અફીણ ખાઈને માથે તેલ પીધાં છે, તે ઊતરે જ નહિ. ને આપણે તો પ્રભુ ભજવા તે જીવમાં તો દોષ હોય પણ આસ્તિક થાવું, સત્સંગ રાખવો, ધર્મ પાળવો, નિયમ રાખવાં ને ભજન કરવું. (૧૧)
પ્રકરણ/વાત: ૯/૨૦૪
જેમ ચોર ખાતર પાડવા જાય ત્યારે પ્રથમ એક કાંકરી નીકળે ને ત્યાર પછી બેલું નીકળે ને ત્યાર પછી માંહીં પેસે તેમ અસદ્મતિ પણ થોડે થોડે વધી જાય છે... (૧૨)
પ્રકરણ/વાત: ૯/૨૩૪
મર ગરીબ હોય પણ ઉપાસના, આજ્ઞા ને વિશ્વાસ હોય તે મોટા ને તે વિના તો મર રાજા હોય તો પણ ખોટા. (૧૩)
પ્રકરણ/વાત: ૯/૨૫૮
રાત-દિવસ ધ્યાનમાં રહેતો હોય પણ એક વેણ મારે તો ધ્યાન તૂટી જાય ને રાતદિવસ જ્ઞાન કરતો હોય પણ જો મૂળમાંથી ઊખડી ન ગયું હોય તો એક વેણ મારે તો છટકી જાય ને જેને ખરેખરું પર્વત પરાયણ હોય તેનું તો ગમે એટલાં વેણે કરીને પણ ન ટળે. (૧૪)
પ્રકરણ/વાત: ૧૦/૧૯
દેશકાળ એવા છે જે રુચિને પણ ફેરવી નાખે. ને ભેળા બેઠા છીએ પણ સૌ સૌની રુચિ નોખી છે. માટે મહારાજે પોતાની રુચિ કહી છે તેમાં આપણી રુચિ ભેળવી દેવી એ પાધરું છે. રુચિ ઉપર ધર્મસ્વરૂપાનંદનું દૃષ્ટાંત દીધું જે, એમને વર્ણાશ્રમનું અંગ ભારે તેથી ભેળા રહે છે પણ રુચિ નોખી છે. તે મહારાજે સ્વપ્નમાં થાળ આપ્યો પણ ન જ જમ્યા. (૧૫)
પ્રકરણ/વાત: ૧૦/૨૯
... વઢીઆરાને કાગડો ઠોલી ન શકે. છેટેથી ઈંતરડી તોડી લે ને દૂબળાને ચાંચું મારી લોહી કાઢે. તેમ ખરેખરા બળિયા હોય તે ઉપર માયા ઝડપ નાખી ન શકે. (૧૬)
પ્રકરણ/વાત: ૧૦/૨૩૩
મધ્યનું ૫૬મું વચનામૃત વંચાવીને કહ્યું જે, મહારાજે કસુંબલ વસ્ત્ર પહેર્યાં હતાં ને ટાટમથી જોટીંગડાં સુધી ઘોડી દોડાવી ને પરસેવો બહુ વળ્યો ને લૂગડાં પહેર્યાં હતાં તે ભૂખરાં થઈ ગયા. તે ઉપર પ્રીતિવાળાને કસુંબલ રંગ જેવા કહ્યા છે. (૧૭)
પ્રકરણ/વાત: ૧૦/૨૪૧
આહાર શુદ્ધ હોય તો બુદ્ધિ સારી રહે ને અશુદ્ધ હોય તો બગડી જાય. એક જણે એક ઋષિને કહ્યું જે, “મારા શત્રુ મરે એવા મંત્ર જપો ને યજ્ઞ કરાવો.” પછી તેણે કહ્યું જે, “મારો ભાઈ કરાવશે.” એટલે તેણે પૂછ્યું જે, “એ કેમ કરાવશે ને તમે નહીં?” તો કહે જે, “એણે ભૂંડી ભોંનું ફળ ખાધું છે તેથી તેની બુદ્ધિ બગડી ગઈ છે, એટલે તે તેવા યજ્ઞ કરાવશે. હું નહીં કરાવું, કેમ કે મારી બુદ્ધિ બગડી નથી.” (૧૮)
પ્રકરણ/વાત: ૧૧/૬
થાણાગાલોળને પાદર રામપ્રતાપભાઈએ રસોઈ કરી ત્યાં કાગડે હાડકું પડતું મેલ્યું ને રસોઈ અભડાવી. એમ ત્રણ ચાર ઠેકાણાં ફેરવી રસોઈ કરી ને બધી વાર રસોઈ અભડાવી. પછી ભાઈએ કોઈને પૂછ્યું જે, “અહીં કોઈ રહેતું હતું?” તો કહે, “આરબનું થાણું હતું.” તો કહે, “આ ઠેકાણે બહુ પાપ થયું હશે.” પછી ત્યાં રસોઈ ન કરી. એમ ભૂંડી ભોં હોય તેનો ભાવ ભજવે. (૧૯)
પ્રકરણ/વાત: ૧૧/૭
આ જીવને ભગવાનને માર્ગે ચાલવું તેમાં અનંત વિઘ્ન છે. તે ગંગાજી પર્વત ફોડીને ચાલ્યાં તેમ પાંચ વિષય છે તે કાળા પર્વત જેવા છે. ને સ્વાદ ને કામ, એનું બળ બહુ જણાય છે. તે બીજા દોષની નિંદા કરી છે પણ સ્વાદની ને કામની નિંદા તો કોઈકે જ કરી છે. માટે એમાંથી જીવ નીકળે નહીં, તે शिश्नोदरपरायणः એમ લખે છે. માટે જ્ઞાનવાન થાવું. આ ભક્તિ તો ઉપકરણ છે, તે ઉપકરણમાં ચોટી ગયા. ને લખે છે તો वाणीगुणानुकथने ।૧ માટે આ ઇન્દ્રિયો-અંતઃકરણ ભગવાનમાં રાખવાં એ તાન છે. કેવળ જ્ઞાન શીખીને જે શિષ્ય થયો તે ભગવાનને માર્ગે ચાલે અને प्रसंगमजरं पाशमात्मनः कवयो विदुः ।૨ એ માર્ગે તો સૌને ચાલવું જ ને ઝાઝું ન સૂઝે તો આ સાધુમાં બંધાઈ જાવું. ને શ્લોક ભણી ગયા ને સમજ્યા નહિ તે તો यथा खरश्चंदन भारवाहि । જેમ છે. માટે ખેડુ જેમ ગોળ સામી નજર રાખીને વાડ કરે છે તેમ આપણે પણ ફળ સામી નજર રાખીને કરવું. (૨૦)
૧. वाणी गुणानुकथने श्रवणौ कथायां हस्तौ च कर्मसु मनस्तव पादयो र्नः । श्रुत्यां शिरस्तव निवास-जगत्-प्रणामे दृष्टिं: सतां दर्शनेऽस्तु भवत्तनूनाम् ॥ (ભાગવત - ૧૦/૧૦/૩૮)
૨. શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા પ્રથમ ૫૪માં આ શ્લોકનો અર્થ આ રીતે કર્યો છે: પ્રસંગમજરં પાશમાત્મનઃ કવયો વિદુઃ । સ એવ સાધુષુ કૃતો મોક્ષદ્વારમપાવૃતમ્ ॥ જેવો એ જીવને પોતાના સંબંધીને વિષે દ્રઢ પ્રસંગ છે તેવો ને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિષે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે.
પ્રકરણ/વાત: ૧૧/૬૧