અમૃત કળશ: ૩
મહિમા
... મોટો વે’વાર છે તે કોઈને આકરા થઈને કહેવું જોઈએ. એમ કહ્ય વિના માણસ ઉન્મત્ત થઈ જાય પણ સમજવું તો એમ જે:
તુલસી જાકે મુખનસેં ભુલે હી નીકસે રામ,
તાકે પગકી પહેનીયાં મેરે તનકી ચામ.
કહ્યા વિના તો કેમ ચાલે? તે આ ધર્મશાળા છે તે વાળ્યા વિના સારી રહે નહિ તે નાયા વિના દેહ બગડી જાય માટે કહેવું-સાંભળવું તે પણ એવું છે. (૨૧)
પ્રકરણ/વાત: ૧૩/૮૫
... સાધુનો મહિમા તો મોટો છે. મુક્તાનંદ સ્વામીએ વિષ્ણુવલ્લભદાસજીને વર આપ્યો તેની વાત કરી જે, તે પ્રથમ ભેલા ગામ રહેતા ત્યાં મુક્તાનંદ સ્વામી વગેરે પોણોસો સાધુને મહારાજના દર્શને કચ્છમાં જવું તે તેણે રણ ઉતરાવ્યું તેથી સ્વામી બહુ રાજી થયા ને કહ્યું, “તમે અમને રણ ઉતરાવ્યું તે તમારે સંસારરૂપી રણ ગાયની ખરી જેટલું થઈ જશે ને ધન, સ્ત્રી બંધન નહિ કરે.” પછી તે સતાપર રેવા ગયા. તેમનું નામ ફૂલજી હતું. (૨૨)
પ્રકરણ/વાત: ૧૩/૧૩૮
મહારાજનો ગુણ લેવો જે કૃપા કરીને મળ્યા. મહારાજનો સ્વભાવ જે કોઈ કીર્તન ગાય ત્યાં પોતે ચાલીને જાય. માટે ગુણ ગાવા જેવા તો એક મહારાજ જ છે. મોટા મોટા જેનું ધ્યાન કરે છે એવા મહારાજ, તેમની કથા ને સ્મૃતિ મૂકીને આ લોકની વાત કરવી એ જ અજ્ઞાન. (૨૩)
પ્રકરણ/વાત: ૧૩/૧૪૯
સર્વેનો પ્રતાપ મહારાજે દાબી રાખ્યો હતો. તે ગોવિંદ સ્વામી બીજાને સમાધિ કરાવે પણ પોતાને ન થાય... (૨૪)
પ્રકરણ/વાત: ૧૩/૧૫૧
મધ્યનું ત્રેસઠનું વચનામૃત વંચાવીને વાત કરી જે, જીવને બળ પામવાનું સાધન આટલું જ છે તે આવો વિચાર કરવા માંડે તો જીવ કેમ વૃદ્ધિ ન પામે? પણ આવો વિચાર થાતો નથી તેણે કરીને દુર્બળપણું રહે છે ને આવી રીતનો વિચાર હોય જે આવા સંત મુને મળ્યા છે તે કોઈનો ભાર જ ન આવે. આવો વિચાર નથી થાતો એટલે એવા વિચાર થાય છે જે કેમ થાશે? ને આપનો વેવાર કેમ ચાલશે? તે દુર્બળતા છે. ભગવાનને મૂકીને બીજી શાંતિ નથી... (૨૫)
પ્રકરણ/વાત: ૧૩/૧૬૭
વરતાલવાળા ધર્મતનયદાસજીએ પ્રશ્ન પૂછ્યો જે, “આજ સંબંધે કરીને નિર્ગુણ થઈ જાય છે તે આજ સંબંધ કેવો કેવાય?” ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો જે, “આજ પણ મહારાજના જેવો જ સંબંધ કેવાય ને એક આકાર વિના શું અધૂરું છે? મોટા સંતને રાખી ગયા છે તેની વાતુ છે, તેની અનુવૃત્તિ છે તે ભગવાનની આજ્ઞા છે. તેના મળેલ કેટલાક છે માટે હજી સુધી તો સાક્ષાત્ સંબંધ કહેવાય.” (૨૬)
પ્રકરણ/વાત: ૧૩/૧૮૦
... આ જીવ ક્યાં? ને ભગવાન ક્યાં? તે કીડી-કુંજર મેળાપ એવા ભગવાન, તો પણ ભેળા રહે ત્યારે મનુષ્ય ભાવ આવી જાય. માટે હવે તો એ ભગવાનને સાચવી રાખવા, તેની આજ્ઞામાં રહેવું, દરવાજે રહેવું. મન છે તે સાવજની પેઠે ઘાણ્યું નાખે, તેને જાણવું. હઠ, માન ને ઈર્ષ્યા ન રાખવાં. એ ભગવાન મળ્યા પછી એટલું કરવાનું છે. (૨૭)
પ્રકરણ/વાત: ૧૩/૧૮૫
વડોદરાનું રાજ મળે તોય હાય હાય કરે તે મૂરખ કેવાય, તેમ આવા ભગવાન મળ્યા ને સંત મળ્યા તેનો હૈયામાં આનંદ રાખીને તે ભગવાનની આજ્ઞામાં વરતવું, અનુવૃત્તિમાં રહેવું ને સારા ભગવદીનો સમાગમ કરવો... (૨૮)
પ્રકરણ/વાત: ૧૩/૧૮૬
ભગવાને અંતર ઝાલ્યાં છે ત્યારે આંહીં અવાય છે ને આ વર્તમાન પળે છે તે આ સત્સંગ ઉપર તો કરોડ રૂપિયા વારી નાખીએ એવો મહિમા છે... (૨૯)
પ્રકરણ/વાત: ૧૩/૨૦૧
હું કૃતાર્થ થયો છું એવો મહિમા અહોનિશ રહે ને एकोऽपि कृष्णस्य कृतः प्रणामः એવો મહિમા રહે તો દુઃખ જ ક્યાં છે? એવો મહિમા સાધુસમાગમે કરીને આવે છે. (૩૦)
૧. એકોઽપિ કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામો દશાશ્વમેધાવભૃથેન તુલ્યઃ । દશાશ્વમેધી પુનરેતિ જન્મ કૃષ્ણપ્રણામી ન પુનર્ભવાય ॥ અર્થ: ભગવાનને માહાત્મ્ય સહિત એક જ દંડવત્ પ્રણામ કર્યો હોય તો તેનું ફળ દસ અશ્વમેધ યજ્ઞ કરી પવિત્રતા પ્રાપ્ત કર્યા બરાબર થાય છે. જો કે દસ અશ્વમેધ યજ્ઞ કરનારને પણ ફરી જન્મ ધારણ કરવો પડે છે, પણ ભગવાનને પ્રણામ કરનાર કદી ફરી સંસારમાં આવતો નથી. અર્થાત્ તેની મુક્તિ થાય છે. (મહાભારત; શાંતિપર્વ: ૧૨/૪૭/૯૨) [સ્વામીની વાત ૫/૨૯૦ અને ૬/૨૮૨].
પ્રકરણ/વાત: ૧૩/૨૨૧