અમૃત કળશ: ૨૯
હેત-સ્નેહ
જગતમાં તો વઢે છે તો પણ આંટી કોઈને પડતી નથી. તે ઉપર વાત કરી જે, સુરતમાં મુક્તાનંદ સ્વામી અને અમે નહાવા જાતા હતા તે રસ્તામાં કઠીઆરો અને કઠીઆરી બે લડ્યાં. તે કઠીઆરે તેની સ્ત્રીના માથામાં કુવાડી મારી તે લોહી નીકળ્યું ને તે કઠીઆરો તો લાકડાં લેવા ગયો. પછી અમે નાહીને પાછા વળ્યા ત્યારે કોઈએ પૂછ્યું જે, “અહીં વઢવાડ થાતી હતી તે શું થયું?” ત્યારે હરિજને જોયું તો બાઈ દળવા બેઠી હતી, તેને પૂછ્યું તો તે બાઈ કહે, “એ ગયો છે લાકડાં કાપવા ને આવશે ત્યારે તેના મોઢા આગળ જોંહવું પડશે ને? તે સારુ દળું છું.” તે વાત મુક્તાનંદ સ્વામીને હરિજને કહી ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “સંબંધીનું કેવું હેત છે?” એવું સત્સંગમાં હેત ક્યાં રહે છે? (૧૧)
પ્રકરણ/વાત: ૧૦/૧૮૩
પીપળાવ્યના પ્રભાશંકર પરણવા જાતા હતા ને મહારાજનો કાગળ વરતાલ બોલાવ્યાનો આવ્યો, એટલે જાન જાતી હતી તો પણ ગાડેથી ઊતરીને ચાલી નીકળ્યા ને માબાપને કહે જે, “જાન તો ફરીથી જોડાશે પણ મહારાજની આવી આજ્ઞા પાળવાનું ફરીથી ન મળે.” એમ એવા હેતવાળાને રાખ્યા વિનાની આત્મનિષ્ઠા રહે છે. તે જુઓને, તેને કાંઈ વળગ્યું જ નહિ! માટે છેલ્લા પ્રકરણના પહેલા વચનામૃતમાં ઝીણાભાઈ, દેવરામ ને પ્રભાશંકરને જ્ઞાનના અંગવાળા કહ્યા છે. (૧૨)
પ્રકરણ/વાત: ૧૨/૧૭૩