અમૃત કળશ: ૨
સંત-સમાગમ
સમાગમ વિના તો માથે ઓઢીને માબાપને સંભારે તેવું છે. તે ઉપર વાત કરી જે, ઓગણોતેરા કાળમાં કાઠીનાં છોકરાંને વરસ ગુજારવા સાધુ ભેળા રાખેલ. તે સાધુ માગી માગીને ખવરાવતા. ને સાધુ ધ્યાન કરવા બેસે ત્યારે કાઠીના છોકરા પણ માથે ઓઢીને બેસે એટલે સાધુને વિચાર થયો જે, છોકરા માથે ઓઢીને શું કરતા હશે? પછી તેમને પૂછી જોયું તો કે’, “તમે શું કરો છો?” ત્યારે સાધુ કહે, “અમે તો અમારા માવતરને સંભારીએ છીએ.” ત્યારે કાઠીના છોકરા કહે, “અમે પણ અમારાં માબાપને સંભારીએ છીએ જે ક્યાં હશે? શું કરતાં હશે? અને ક્યારે ભેળા થાશું?” એમ સત્સંગ શું કરવા કર્યો છે તેની ખબર નથી. તે પણ એવું છે. માટે આપણે શું કર્તવ્ય છે તે વિચારવું. વિચાર વિના તો કર્તવ્ય હોય તે ન થાય... (૪૪)
પ્રકરણ/વાત: ૧૨/૧૨૫