અમૃત કળશ: ૧૯
જ્ઞાન-સમજણ
નૃસિંહાનંદ સ્વામીએ મહારાજને પગે લાગીને કહ્યું જે, “હે કૃપાનાથ, ભગવાનની મૂર્તિ અખંડ રહે એવી કાંઈક વાત કરો,” ત્યારે મહારાજ શ્લોક બોલ્યા જે:
ब्रह्मभूतः प्रसन्नत्मा न शोचति न कांक्षति ।
समः सर्वेषु भुतेषु मद्भक्तिं लभते पराम् ॥૧
સો મણ ઘી ખાધું તો પણ જીભ કોરી ને કોરી. આવું થાય ત્યારે ભગવાનની મૂર્તિ અખંડ રહે. પછી મહારાજે સમાધિવાળા પરમજ્ઞાનાનંદ સ્વામીને પૂછ્યું જે, “આ વાતમાં તમે કાંઈ સમજ્યા?” ત્યારે કહે, “ના, મહારાજ. હું તો કાંઈ સમજ્યો નહિ.” પછી મહારાજે કહ્યું જે, “આ દેહ છે તે પંચભૂતનો છે. તેમાં હાડ ને માંસ છે તે પૃથ્વીનો ભાગ છે, રુધિર છે તે જળનો ભાગ છે, ઝગે છે તે તેજનો ભાગ છે, શ્વાસ લેવાય છે તે વાયુનો ભાગ છે, ને અવકાશ છે તે આકાશનો ભાગ છે. એમ પંચભૂત, પંચતન્માત્રા, ચૌદ ઇંદ્રિયો એ ચોવીશ તત્ત્વરૂપ ગઢ છે તેમાં આ જીવ છે તે દીવારૂપ છે. ને જીવની વૃત્તિયું છે તે ઇંદ્રિયો દ્વારે જેમ છોકરાં પતંગ ઉડાડે છે તેમ વિષય સન્મુખ ચાલે છે ને દોરી તાણવાથી જેમ પતંગ ઢૂંકડો આવે છે તેમ પાછી વૃત્તિ વાળવાથી વૃત્તિ ઇંદ્રિયોના ગોલકમાં આવે છે ને પછી અંતઃકરણ સન્મુખ થાય છે ને અંતઃકરણ છે તે જીવમાં લીન થાય છે. પછી એક આત્મારૂપે રહે છે. પછી આત્મારૂપ થઈને ભગવાનનું ચિંતવન કરે છે ત્યારે એની વૃત્તિ ભગવાન સન્મુખ ચાલે છે. તે કેવી રીતે? તો જેમ સ્વર્ગમાંથી ગંગા આવી તેને કાળો પર્વત આડો આવ્યો તે કાળા પર્વતને ફોડીને સમુદ્રને મળી. ને ચમકના પર્વત સામાં જ્યારે વહાણ ચાલે ત્યારે વહાણના બધા ખીલા ચમકમાં ખેંચાઈ જાય છે. પચાસ કોશનો પ્રવાહ ભેળો ચાલતો હોય તે કોઈનો હઠાવ્યો હઠે નહિ તેમ એની વૃત્તિ ભગવાન સન્મુખ ચાલે છે તે કોઈની હઠાવી પાછી પડતી નથી. જેમ ગૃહસ્થ પોતાની મૂડી પોતાના વહાલા દીકરાને આપે તેમ અમે અમારી ગાંઠ્યની મૂડી હતી તે તમોને આપી.” (૨૭)
૧. બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ । સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિં લભતે પરામ્ ॥ (ગીતા : ૧૮/૫૪) અર્થ: જે બ્રહ્મરૂપ થયો છે અને પ્રસન્ન મન છે એટલે ક્લેશ કર્માદિક દોષથી જેનું મન કલુષિત નથી અને કોઈનો પણ શોક કરતો નથી, તેમ કોઈ પદાર્થને ઇચ્છતો નથી, સર્વ ભૂતોમાં સમભાવથી રહેતો, કશાની આકાંક્ષા નહીં કરનારો, તે પુરુષ મારે વિષે પરાભક્તિને પામે છે - અર્થાત્ જેને આત્માનો 'બ્રહ્મરૂપે' સાક્ષાત્ અનુભવ થયો હોય તેને જ પરાભક્તિમાં અધિકાર પ્રાપ્ત થાય છે.
પ્રકરણ/વાત: ૧૧/૨૧૯