અમૃત કળશ: ૧૯
જ્ઞાન-સમજણ
એક વખતે વંડામાં ઓરડા ચણતા હતા ને કામ જોવા મહારાજ પધાર્યા. ત્યારે કરસનદાસ કોઠારી ભેળા હતા તે બોલ્યા જે, “મહારાજ, ઓરડા બહુ સારા થયા.” ત્યારે મહારાજ બોલ્યા જે, “પૃથ્વી ઉપર પીંડા ઉપર પીંડા ચડાવ્યા છે તે પડી જાશે ત્યારે પાછા પૃથ્વીમાં સમાશે. એમાં તમે શું વખાણો છો?” એમ કહીને આસન ઉપર વિરાજમાન થયા ને આગળ ભણનારા સાધુ આવીને બેઠા. પછી તેમને મહારાજ કહે જે, “સાંભળો, એક જ્ઞાનની વૃતિ કહું છું જે, વરતાલમાં અમે રામપ્રતાપભાઈવાળા બંગલામાં ધ્યાન કરતા ત્યાં માણસનો ભીડો બહુ થાવા લાગ્યો ત્યારે વિચાર થયો જે, એક ઢોલિયો ને બે સેવક સમાય એવી જગા હોય તો ઠીક. પછી આથમણી કોરે એવો બંગલો કરાવીને તેમાં થોડાક દિવસ ધ્યાન કર્યું. પછી તેમાં પણ એમ વિચાર થયો કે આ જગા પણ પડી જાય તેવી છે માટે કોઈ પર્વતની ગુફામાં જઈને ધ્યાન કરીએ તો ઠીક. પછી તેમાં પણ એમ વિચાર થયો જે, એ પણ પ્રલય કાળે નાશ થઈ જાશે. પછી તો બદરિકાશ્રમ, શ્વેતદ્વીપ, વૈકુંઠ, ગોલોક, પ્રધાનપુરુષનું સ્થાન અને મૂળ પ્રકૃતિપુરુષ પર્યંત સર્વેનાં સ્થાન ધ્યાન કરવા સારુ જોયાં ત્યાં તો એ સર્વે પ્રલયમાં નાશવંત જણાયાં. પછી અંતરદૃષ્ટિ કરીને જોયું ત્યાં તે અમારા હૃદયમાં પ્રકાશ દેખાણો ને અક્ષરબ્રહ્મ તેને વિષે ભગવાનની મૂર્તિ દેખાણી ત્યારે જાણ્યું જે આ સ્થાનક ધ્યાન કરવા જોગ છે, માટે ત્યાં રહીને ધ્યાન કરવું.” એમ કહીને તે સર્વે સાધુને કહ્યું જે, “તમે ભણો, લખો તે તો ઠીક છે પણ અક્ષરબ્રહ્મ તે રૂપ થઈને અમારું ધ્યાન કરવું એ કરવાનું છે.” (૧૯)
પ્રકરણ/વાત: ૮/૧૮