વચનામૃત ઇતિહાસ

ગઢડા મધ્ય ૬૨

આ વચનામૃતની ઉદ્‌બોધન તિથિ છે સં. ૧૮૮૧ માગશર સુદ બીજ. શ્રીજીમહારાજના જીવનચરિત્ર અનુસાર જોવા જઈએ તો આ તિથિએ તેઓ સુરતમાં બિરાજમાન છે. કારણ કે સં. ૧૮૮૧માં કાર્તિક સુદ બારશના દિવસે શ્રીજીમહારાજે વરતાલમાં મૂર્તિપ્રતિષ્ઠા કરી. તે સમયે સુરતના હરિભક્તોએ શ્રીજીમહારાજને સુરત પધારવાની શરતે વરતાલ મંદિરના દક્ષિણ દેરા પર (કે જેમાં હરિકૃષ્ણ, મહારાજરૂપે પોતાની મૂર્તિ શ્રીહરિએ પધરાવી હતી) તેની પર ધજા ચડાવવાનો પોતાનો આગ્રહ પડતો મૂક્યો હતો. તેથી પ્રતિષ્ઠા બાદ આ ભક્તોને સુખ આપવા શ્રીજીમહારાજ સુરત જવા નીકળેલા અને સં. ૧૮૮૧, કારતક વદ છઠના દિવસે, શુક્રવારે શ્રીજીમહારાજ સુરત પધારેલા. અહીં અનેક આયોજનો દ્વારા સૌને સત્સંગનો લાભ આપી શ્રીજીમહારાજ વચનામૃત ગઢડા મધ્ય ૬૨ની ઉદ્‌બોધન તિથિએ એટલે કે સં. ૧૮૮૧ની માગશર સુદ બીજના દિવસે સુરતથી વિદાય લે છે. એટલે આ દિવસે તો તેઓનું ગઢડામાં હોવું અશક્ય જ છે.

[ભગવાન સ્વામિનારાયણ – ભાગ ૫/૫૧]

પરંતુ શ્રીજીમહારાજે પોતાના તમામ ભક્તો સાથે અન્ય સ્વરૂપ ધારણ કરી આ વચનામૃત ઉદ્‌બોધ્યું છે. ‘હરિલીલામૃત’ આ વિગતનો ઉલ્લેખ કરતાં જણાવે છે:

બનિ એ જ દિવસ એક વાત, એ તો આશ્ચર્યકારી અઘાત;

ગઢપુરજન આતુર થયા, અન્ન-જળ તજિ કૈંક તો રહ્યા.

કરે વિનતિ તે ગદ્‌ગદ થૈને, આવો હે કૃષ્ણ સૌ સાથ લૈને;

નહીં આવો જો શ્યામ સુજાણ, તજશું અમે નિશ્ચય પ્રાણ.

ત્યારે બીજે રૂપે મહારાજ, ગયા ગઢપુર સહિત સમાજ;

માગશર સુદિ બીજે ત્યાં હરિ, બેઠા દરબારમાં સભા ભરી.

ભ્રાતૃપુત્રોયે પૂછિયા પ્રશ્ને, આપ્યા ઉત્તર એના શ્રીકૃષ્ણે;

વચનામૃત તેનું લખાણું, નથિ કોઈનું તે તો અજાણ્યું.

આમ, એક ચમત્કારી ઐતિહાસિક તવારીખના સાક્ષી સમું આ વચનામૃત છે.

[શ્રીહરિલીલામૃત: ૮/૩૫/૧૬-૧૯]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ