વચનામૃત ઇતિહાસ
લોયા ૪
આ વચનામૃતના ઉત્તરાર્ધમાં શ્રીજીમહારાજ, મુક્તાનંદ સ્વામી તથા પંચાળાના દરબાર શ્રી ઝીણાભાઈ વચ્ચેનો જે વાર્તાલાપ આવે છે તેનો ઇતિહાસ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે:
સં. ૧૮૭૭ના કાર્તિક વદ નવમીએ શ્રીજીમહારાજ લોયા પધારે છે. અહીં એકાંત સ્થાનમાં શ્રીજીમહારાજને જાણે જ્ઞાનસત્ર કરી સમજણ, સિદ્ધાંત, સત્સંગ વિષયક રહસ્યની વાતો કરવી હતી. આ વાતો ઝીલી સંતો તેનું દિગદિગંતમાં પ્રસારણ કરે એવી ઇરછા શ્રીજીમહારાજની હતી. મહારાજ લોયા પધાર્યાના પાંચ જ દિવસમાં, કાર્તિક વદ ચૌદશના દિવસે પંચાળાથી ઝીણાભાઈ દરબાર લોયા આવે છે. તેઓના આગમનના કારણમાં વિગત એવી હતી કે શ્રીજીમહારાજ દર વર્ષે પંચાળા પધારતા, પરંતુ વીતેલા વર્ષે મહારાજ પંચાળા જઈ શક્યા ન હતા. તેથી ઝીણાભાઈ શ્રીજીમહારાજને પંચાળા પધારવાનું આમંત્રણ આપવા આવ્યા હતા. તેઓએ આ સંબંધી વાત શ્રીજીમહારાજને કરી પણ ખરી.
ત્યારે મહારાજે કહ્યું, “ઝીણાભાઈ! હમણાં અમારાથી પંચાળા અવાશે નહીં. અહીં જ્ઞાનસત્ર ચાલે છે. મોટેરા સંતો પણ આવ્યા છે. તો હમણાં ધીરજ રાખો. વખતે પંચાળા જરૂર આવીશું.”
ઝીણાભાઈને મહારાજના આ શબ્દોથી આઘાત લાગ્યો. તેઓ ઊંડા ઊતરી ગયા. મુક્તાનંદ સ્વામીએ તેઓને સમજાવ્યા. પણ ઝીણાભાઈના મનનું સમાધાન થયું નહીં. તેઓએ મનોમન પ્રતિજ્ઞા લઈ લીધી કે: “મહારાજ પંચાળા ન પધારે ત્યાં સુધી ગળ્યું-ચીકણું (મિષ્ટાન્ન) ખાવું નહીં અને માથે પાઘ બાંધવી નહીં.”
આ વિગતથી વ્યથિત થઈ મુક્તાનંદ સ્વામી શ્રીજીમહારાજને કહે છે, “ઝીણાભાઈ તો આજે બહુ દિલગીર થયા....”
[ભગવાન સ્વામિનારાયણ – ભાગ ૪/૨૪૬]