વચન વિધિ

કડવું – ૪૦

હરિ આજ્ઞામાં રહ્યાં જે આપજી, જાણી પ્રભુનો મોટો પ્રતાપજી

તેને તો મનાણું પાપિયે1 પાપજી, ત્યારે સુખ થાવા શો રહ્યો જબાપજી2

જબાપ એનો જડતો નથી, જે વર્તે છે વચનથી બા’ર ॥

દેવ અદેવ દોયમાં વળી, એને ગણિયે કેની હાર ॥૨॥

દૈવી આસુરી જીવ જગમાં, તે તો જાણે છે સહુ જન ॥

દૈવી વરતે વચનમાં, આસુરી ન માને વચન ॥૩॥

બીજા તો બીતા બહુ રહે, લોપે નહિ વચન લગાર ॥

જિયાં જેને રાખિયા, તિયાં રહ્યા કરી નિરધાર ॥૪॥

હેડ્ય બેડી કોટડિયે, નથી અવરાણા ઓરડિયે ॥

બાંધ્યા નથી બીજે બાંધણે, બંધાણા છે વચન દોરડિયે ॥૫॥

તેને દેખવા દુઃખિયા, લેખવા સુખિયા વિમુખને ॥

એવા સમજું સહુ મરજો, પામી પૂરણ દુઃખને ॥૬॥

સાકરટેટીથી સારાં લાગે, અતિ રૂડાં ઇન્દ્રામણાં3

ખાવા બેસશે ખાંત્યે કરી, ત્યારે લાગશે વિષથી ભૂંડાં ઘણાં ॥૭॥

આખુ4 જેમ અગ્ન બળતી, લઈ જાય નિજ ઘેર વાટ્ય ॥

નિષ્કુળાનંદ એવું નર કરે છે, માને છે તેમાં ખાટ્ય5 ॥૮॥

 

પદ – ૧૦

રાગ: આશાવરી (‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ એ ઢાળ)

ખોટમાં દોટ દેવી નહિ દેખી, કરી લૈયે ખરાખરી ખાટ્ય રે;

શીદ ખાયે ખોળી ખડ ધાન્યને, જ્યારે પામ્યા રાજ્ય ને પાટ્ય રે, ખોટમાં૦ ॥૧॥

શણગાર સોનાના સજી શરીરે, ભૂંસિયે નહિ મુખે ભૂંડી મશ રે;

મુખ દેખે લેખે તે લજામણું, એમ શીદ ખોયે જાણી જશ રે. ખોટમાં૦ ॥૨॥

કરીથી6 ઊતરી ખરી7 પર ચડી, મોટી વાત મુખે ન કે’વાય રે;

કાઢી કટિપટ8 કોઈ કરે પતાકા,9 એના શરીરની શોભા જાય રે. ખોટમાં૦ ॥૩॥

એમ પોતાનો પતિ પરહરી પરો, કોઈ નારી કરે વ્યભિચાર રે;

નિષ્કુળાનંદ કે’ જાય જશ તેનો, વળી કોયે ન કરે પતિયાર10 રે. ખોટમાં૦ ॥૪॥

કડવું 🏠 home