વચન વિધિ

કડવું – ૧૧

વચન આધારે વર્તે છે જેહજી, મોટા સુખને પામશે તેહજી

એહ વાતમાં નહિ સંદેહજી, લોક પરલોકે પૂજ્યા જોગ્ય તેહજી

લોક અલોકમાં આબરું, રે’શે એની રૂડી રીતશું ॥

વચન વા’લાનાં વા’લાં કરી, પ્રસન્ન મને રાખ્યાં પ્રીતશું ॥૨॥

વચન પાળતાં જો વિપત્તિ પડે, તો સહે શ્રદ્ધાયે કરી ॥

વચન લોપતાં જો સુખ મળે, તો ઘોળ્યું પરું મેલે પરહરી ॥૩॥

અશન1 વસન2 ભૂષણ ભૂમિ, મર મળે ત્રિલોકીનું રાજ ॥

વચન જાતાં જાતું કરે, જાણે થાય એથી અકાજ ॥૪॥

પ્રહલાદને કહ્યું એના પિતાયે, તને આપું રાજ અધિકાર ॥

નામ મેલી દે નરહરિનું, આજથી મા કર્ય ઉચ્ચાર ॥૫॥

પણ હળવા સુખ સારુ હરિજન, મૂકે કેમ મોટા સુખને ॥

લોપી વચન મન લલચે, એવું ઘટે ઘણું વિમુખને ॥૬॥

નાક કપાવી નથ3 પે’રવી, એ તો નારી નઠારીનું કામ છે ॥

એથી મર રહીએ અડવાં,4 એવાં ભૂષણ પે’રવાં હરામ છે ॥૭॥

એમ વચન ગયે વડાઈ મળે, તેને પાપરૂપ જાણી પરહરો ॥

નિષ્કુળાનંદ નિશ્ચે કરી, હરિવચનમાં વાસ કરો ॥૮॥

કડવું 🏠 home