સ્નેહગીતા

કડવું ૯

સ્નેહ સાંકળે પલાંણી1 છે પ્રમદાજી, તેહને અંતરે નહિ કોઈ આપદાજી ।

સ્નેહે શ્યામળીયા સંગે ડોલી સદાજી, હળી મળી હરિશું રહી અતિ મન મુદાજી2 ॥૧॥

મુદા સદાયે મનમાંયે, જાયે અહરનિશ રાણીપ3 રે ।

રંગ રાતી મન માતી,4 ગાતી ગોવિંદ ગુણ ઘરે ઘરે ॥૨॥

વળી વન વાટે ઘરે ઘાટે, દિયે દયાળુ દરશન દાન ।

નાથ નીરખી હૈયે હરખી, વળી રહે મને ગુલતાન5 ॥૩॥

હરતાં ફરતાં કામ કરતાં, હરિ અચાનક આવી મળે ।

મગન રે’તાં સુખ લેતાં, એમ પ્રેમ આનંદમાં દિન પળે6 ॥૪॥

હસતાં રમતાં જોડે જમતાં, વળી વીતે ઘડી ઘણું સુખની ।

પળે પળે પ્રેમ પ્રગટે, જોતાં શોભા શ્રીહરિ મુખની ॥૫॥

હાસ વિલાસ હરિની સાથે, વળી કે’વું સુણવું તે કાનને ।

તાળી વળી લેવી તેહશું, ત્રોડવું હરિશું તાનને ॥૬॥

રાત દિવસ વીતે રંગે, વળી અંગે આનંદ અતિ ઘણું ।

સંસાર સુખની ભૂખ ભાગી, જોતાં મુખ જીવનતણું ॥૭॥

વિયોગની વળી વાતને, કોયે સ્વપ્ને પણ સમઝે નહિ ।

એહ રીતે પ્રીત વાધી, સ્નેહની અતિશે સહિ ॥૮॥

પ્રીતની રીતને પરખવા, એક સમયને વિષે શ્રીહરિ ।

મથુરા જાવાનું મન કીઘું, ઇચ્છા એવી ઉરમાં ધરી ॥૯॥

ઘણા દિવસ ગોપી સંગે, રંગે રમિયા રસબસશું ।

નિષ્કુળાનંદ સ્નેહ જોવા, વા’લો કે’ વેગળા વસશું ॥૧૦॥ કડવું ॥૯॥

કડવું 🏠 home