સ્નેહગીતા

કડવું ૪૨

ભક્તિ મારી છે બહુ ભાતનીજી, જન મળી કરે છે જુજવી જાતનીજી ।

પણ પ્રેમની ભક્તિ છે પ્રાણ ઘાતનીજી,1 તે કેમ કરી કરે કોયે નથી મુખ વાતનીજી ॥૧॥

મુખ વાત તેની નથી થાતી, એ તો પ્રાણ ગયાની પેર છે,

એવી જે જન આદરે, તેહ ઉપર મારી મે’ર છે ॥૨॥

સ્નેહ કરે જે મુજ સાથે, તન મન કરી કુરબાણ ।

ઉદ્ધવ મારે ધન એહ છે, વળી જાણું છું જીવનપ્રાણ ॥૩॥

મુને સંભારે છે સ્નેહી જન, તેમ સંભારું હું સ્નેહીને ।

અરસ પરસ રહે એકઠાં,2 જેમ પ્રીત છે દેહ દેહીને ॥૪॥

અંતર પ્રીત સરળ ચિત્ત, વળી હૈયે હેત અતિ ઘણું ।

ઉદ્ધવ એવા જન જેહ છે, તેહ રે’વા ઘર છે મુજ તણું ॥૫॥

જેનું અંતર લૂખું હૃદય સૂકું, વળી નેહ નહિ જેના નેણમાં ।

ઉદ્ધવજી હું તો ત્યાં ન રહું, મર ધરે ધ્યાન દિન રેણમાં ॥૬॥

જપ તપ તીરથ જોગ જજ્ઞ, જેહમાં તે ફળની આશ છે ।

એહને ધાયે3 ભક્ત કહેવાયે, પણ તે શું મારો કાંઈ દાસ છે ॥૭॥

કોય નર નિરાશી4 ચરણ ઉપાસી, મમતા રહિત મુજને ભજે ।

એવા ભક્ત જક્ત વિરક્ત જેહ, તેહ ઉદ્ધવજી મુજને રજે5 ॥૮॥

હું તો વશ છઉં પ્રેમને, કહું ગોપ્ય6 મારો મત છે ।

સ્નેહ વિના હું શિયે ન રીઝું, એહ માનજે સત્ય સત્ય છે ॥૯॥

વ્રજવનિતા પ્રેમરતા,7 પ્રીતે અજીત મને જીતિયો ।

નિષ્કુળાનંદનો નાથ કહે છે, ઉદ્ધવ હેતે હું એનો થયો ॥૧૦॥ કડવું ॥૪૨॥

કડવું 🏠 home