સ્નેહગીતા

કડવું ૪૦

ઉદ્ધવ કહે હું શું કહું શ્રીહરિજી, તમારા સ્નેહવશ વ્રજસુંદરીજી ।

હે કૃષ્ણ હે કૃષ્ણ કરે છે ભાવે ભરીજી, નાથ નથી રહી એને ખાન પાનની ખબર ખરીજી ॥૧॥

ખાન પાનની ખબર નથી, ઉન્મત્ત ગત1 છે અંગની ।

લોકલાજ કાજ ત્યાગ કરી, રાતી છે તમારા રંગની ॥૨॥

જેમ નર કોઈ માદક પીયે, તેને તન તણી સુધ વિસરે ।

તેમ તમારા સ્નેહની કેફે કરી, એને દેહ દશા નવ દિસે સરે ॥૩॥

જોગ યજ્ઞ જપ તપ તીરથ, વળી વેદવિધિ કરી કેમ શકે ।

સ્નેહ માંહિ રહે સમાઈ, બોલે નહિ બોલાવી બોલ્યે થકે ॥૪॥

પ્રેમ જોઈને પ્રમદાનો, મારો ગર્વ સર્વે ગળીયો ।

હુંતો ગયો તો શીખ2 દેવા, પણ સામું શીખ લઈને વળિયો ॥૫॥

એવા નિર્મળ અંતર વિના, સ્નેહ રસ શેમાં રહે ।

ચારણીચિત્તે3 લટક4 પ્રીતે, પ્રેમ સુધારસ શું ગ્રહે ॥૬॥

એવા સ્નેહ વિના શીદને, મૂરખ કોયે મલકાય છે ।

હજી પશુ જેવી પણ પ્રીત નથી, તો હરિજન હોડ5 કાંયે થાય છે ॥૭॥

પ્રીતમ વિના પ્રેમીના પ્રાણ ન રહે, અને રહે તો પ્રીત ન હોય ।

જેમ જળ વિયોગે ઝષ6 ન જીવે, પણ જીવે દાદુર7 કૂર્મ8 દોય ॥૮॥

તેમ તમ વિના ગોપીના પ્રાણ ન રહે, પણ રહેવા છે એક રીત ।

જાણે હમણાં હરિ આવશે, એવું ચિંતવે છે ચિત્ત ॥૯॥

પછી ભેટ દીધી પૂજા કીધી, કહ્યું વા’લા આપી છે વ્રજસાથને ।

વળી કહ્યું અંગોઅંગ મળજો, નિષ્કુળાનંદના નાથને ॥૧૦॥ કડવું ॥૪૦॥

કડવું 🏠 home