સ્નેહગીતા

કડવું ૩૫

ઉદ્ધવજી એવું હતું એને મનજી, જે કલપાવી કલપાવી1 તજાવશું તનજી ।

તો ઠોરઠોર2 નહોતી કરવી જતનજી, જ્યારે એને આપવો તો અમને આવો દિનજી ॥૧॥

દિન દેવો’તો જો દુઃખનો, વળી વણ મોતે હતાં મારવાં ।

તો અનેક વિઘ્નમાંહિથી અમને, આગે નોતાં ઉગારવાં ॥૨॥

ભયાનક વ્યોમાસુર ભયથી, વળી રાખિયાં રૂડી રીતશું ।

શકટાસુર તૃણાવર્ત તેથી, પહેલાં ઉગારિયાં એને પ્રીતશું ॥૩॥

કેશી વૃષભ અઘાસુરથી, અમને અલબેલે ઉગારિયાં ।

વત્સાસુર બગાસુર બીજાથી, વળી વ્રજનાં વિઘ્ન નિવારિયાં ॥૪॥

વિષ નિરવિષ ઘર વરુણથી, કરી વ્રજવાસીની એણે સાર ।

અમારે કારણે ઉદ્ધવ એણે, દાવાનળ પીધો દોય વાર ॥૫॥

વળી ઇન્દ્ર કોપ્યો વ્રજવાસી ઉપરે, મહાપ્રલયનો મેઘ મેલિયો ।

વીજ ઝભકે નીર ખળકે, વળી અંધકાર અતિશે થયો ॥૬॥

ઘોર ગર્જના સુણી થયાં ઘાંઘાં, જાણ્યું આજ કલ્પાંત3 આવિયો ।

ત્યારે ધરી ગોવર્ધન કર ઉપરે, વ્રજસાથ4 એણે બચાવિયો ॥૭॥

ઉદ્ધવ એણે અમને, અનેક વિઘ્નથી ઉગારિયાં ।

આવું હતું જો મનમાં એને, તો મોર્યે કેમ ન મારિયાં ॥૮॥

નથી ખમાતું ઉદ્ધવ અમે, પીડી પીડી જે લેશે પ્રાણ ।

અંતરની શું કહીએ ઉદ્ધવ, તમે નથી અમારા અજાણ ॥૯॥

કૃષ્ણે કર્યું એવું કોઈ ન કરે, ઉદ્ધવજી કહું અમને ।

નિષ્કુળાનંદના નાથના સખા, છો ત્યારે કહ્યું તમને ॥૧૦॥ કડવું ॥૩૫॥

કડવું 🏠 home