સ્નેહગીતા

કડવું ૩૨

ઉદ્ધવજી અમે જોગ કેમ કરીએજી, અમે કૃષ્ણકામિની કાષાયાંબર1 કેમ ધરીએજી ।

તે થકી વીરા મર વિષ ખાઈને મરીએજી, ગજથી ઊતરી કેમ ચડીએ ખરીએજી2 ॥૧॥

ખરીએ ન બેસાયે કરી3 તજી, કણ મુકી કુકસ કોણ ગ્રહે ।

કંચન મુકીને કાદવ કોઈ, લોભાવે પણ નવ લહે ॥૨॥

મણિરત્નની માળા મુકી, શંખલાનો શણગાર કોણ કરે ।

બાવના ચંદન તજી તનમાં, ભસ્મ કોણ ભૂંશી ફરે ॥૩॥

અંબર અંગે ઓઢવાં મેલી, વળી કોણ ધરે મૃગચર્મને ।

ઉત્તમ ક્રિયા મુકી અંગની,4 કોણ કરે મલિન વળી કર્મને ॥૪॥

ખીર ખાંડ ઘૃત ખાવું તજીને, ખાયે કોણ આંક ધંતુરા પાન ।

સેજ પલંગને પરહરીને, કોણ સૂવે જઈ સ્મશાન ॥૫॥

જેહ મુખે અમે પાન ચાવ્યાં, તેહ મુખે આવળ કેમ ચાવશું ।

કૃષ્ણ વિના ઉદ્ધવ અમે, બીજું અંતરે કેમ ઠેરાવશું ॥૬॥

પ્રીતે પતંગ5 અંગ પાવકે6 આપે, મૃગ મરે નિઃશંક થઈ નાદમાં7

ઉદ્ધવજી સુખ એટલું શું, નહિ જાણિયે શ્યામના સ્વાદમાં ॥૭॥

આ તો તન મન આપ્યું છે એહને, એક રતિ અમે રાખ્યું નથી ।

શ્રીકૃષ્ણ કૃષ્ણ કે’તાં મરશું, પણ બીજું નહિ થાય અમથી ॥૮॥

આ જીહ્વા તો અન્ય ન ઉચ્ચરે, પણ મુવા પછી પારખું કોઈ લેશે ।

નળી8 ભૂંગળી વળી વાંસળી કરે કોય, તોયે કૃષ્ણ કૃષ્ણ એમ બોલશે ॥૯॥

અમો અબળાનું અંતર એવું, જેણે ઢાળે ઢળ્યું તેણે ઢળિયું ।

નિષ્કુળાનંદના નાથ સાથે, મન મળિયું તેહ મળિયું ॥૧૦॥ કડવું ॥૩૨॥

કડવું 🏠 home