સ્નેહગીતા

કડવું ૨૧

એમ અબળા અકળાય અતિ ઘણુંજી, મન કરે મોહનમુખ જોવા તણુંજી ।

વણદીઠે વા’લમ અંતર સુખ નહિ અણુજી, મેલી નિઃશ્વાસ ધિક્કારે આપ1 ઘણુંજી ॥૧॥

આપણો2 અવગુણ પરઠી, અબળા મુખે એમ ઉચ્ચરે ।

અહો બાઈ કૃષ્ણ વિના, હેત આપણે એવું કોણ કરે ॥૨॥

જે દિ અસન3 હતાં બાઈ આપણે, પિયુ સુખને નવ પ્રીછતાં ।

અસત્ય સત્યને ઓળખ્યા વિના, વળી અનેક વસ્તુને ઇચ્છતાં ॥૩॥

ખબર નહોતી ખોટ બુદ્ધિની, વળી ન્યાય અન્યાય નવ જાણતાં ।

સુખ દુઃખને સમજ્યા વિના, વળી વિષ એ અમૃતવત માણતાં ॥૪॥

એમ વિમત4 હતી આપણી, બાઈ એશું5 અવળાં ચાલતાં ।

હેત કરી હરિ મંદિર આવતા, તેને તસ્કર6 કરીને ઝાલતાં ॥૫॥

એનો આપણે અભાવ લઈ, જઈ કહેતાં જશોદા આગળે ।

તોયે હૃદયે રોષ નવ ધારતા, કરતા પ્રીત હેતે પળે પળે ॥૬॥

પરાણે એણે પ્રીત કીધી, અલબેલે આપણે સાથજી ।

જાત બાઈ ભવવારિમાંહી,7 તે તો હરિએ રાખ્યાં ગ્રહી હાથજી ॥૭॥

સમે સમે એણે સુખ દીધાં, વળી લાડિલાએ લાડ લડાવિયાં ।

આપણું ગમતું કીધું એણે, માન દઈને મન મનાવિયાં ॥૮॥

વળી આપણી અવળાઈ જુઓ, એને બંધાવિયાતા આગળે ।

એના ગુણ અવગુણ આપણા, કેટલાક લખીએ કાગળે ॥૯॥

જે જે હેત કર્યું હરિયે, તે તો કહ્યે કેમ આવશે ।

હવે નિષ્કુળાનંદના નાથ વિના, બાઈ લાડ કોણ લડાવશે ॥૧૦॥ કડવું ॥૨૧॥

કડવું 🏠 home