સ્નેહગીતા

કડવું ૨૦

એ દિન જાયે બહુ દિલ દાઝતાંજી, ભૂલી સૂધ ભામિની હરિ સંગે હેત બાંધતાંજી ।

વિયોગે વિલખે રુવે ધૂમમષે1 રાંધતાંજી, એમ અહોનિશ વીતે પિયુને આરાધતાંજી ॥૧॥

અલબેલાને આરાધતાં, અતિ વ્યાકુળ થાયે વનિતા ।

જાણે જાઉં વનમાં જીવન હશે, એમ અંતરે થઈ આતુરતા ॥૨॥

ગોરસ રસ ભરી ગોળીયે, મહી વેચવાનો મષ લઈ ।

પછી કુંજકુંજમાં કામિની, જીવનને ગોતે જઈ ॥૩॥

ક્યાં હશે બાઈ કૃષ્ણ કહોને, એમ માંહોમાંહિ પૂછે મળી ।

જ્યારે ખબર ન પામે ખોળતાં, ત્યારે વલવલે વિલખે વળી ॥૪॥

કહે આ જ વનમાં ક્રીડા કરતા, કહે આ જ વનમાં રાસ રમિયા ।

તેહ જ વનમાં જીવન જાતાં, સર્વે સ્થળ ખાવા થિયાં2 ॥૫॥

જેમ જેમ વન જુવે જુવતી, તેમ તેમ કૃષ્ણ સાંભરે ।

વિરહ વાધે અંગ બાધે,3 પછી આંખડિયે આંસુ ઝરે ॥૬॥

સજ્જન થોડા સાલે શરીરે, અંગે સાલે ઘણાં એંધાણ4

સંયોગમાં એ નવ જણાએ, પણ વિયોગે વિલખે પ્રાણ ॥૭॥

એમ વૃક્ષ વેલી વન સરવે, ઘણું શોધતાં સંધ્યા પડે ।

પણ કૃષ્ણ વસે મથુરાં માંહે, તે વનમાં જોતાં કેમ જડે ॥૮॥

એમ વન જોઈને જુવતી, વળી ભુવન આવી ભામિની ।

રાજ5 વિના કાંઈ કાજ ન સૂઝે, જેને લાગી લગન શ્યામની ॥૯॥

પ્રાણ પ્યારાની પ્રીત લાગી, તેણે ત્યાગી તનની આશ જો ।

નિષ્કુળાનંદ એહ સ્નેહે નારી, પડી પ્રેમને પાશ જો ॥૧૦॥ કડવું ॥૨૦॥

કડવું 🏠 home