સ્નેહગીતા

કડવું ૨

સ્નેહની મૂર્તિ સુંદર શ્યામજી, પ્રેમે કરી પ્રગટ્યા ગોકુળ ગામજી ।

સ્નેહી જનનાં સારવા કામજી, નટવર નાગર સદા સુખધામજી ॥૧॥

સુખના સાગર શ્રીહરિ, જેને દેખતાં દિલડું ઠરે ।

મૂર્તિ જોતાં માવજીની, હેલામાં1 મન મુનિનું હરે ॥૨॥

જેને જોઈ મોહી જન જુવતી, અતિ પ્રીત કરી હૈયે હેતશું ।

સ્નેહ બાંધ્યો શ્યામ સંગે, સોંપી તન મન ધન સમેતશું2 ॥૩॥

વળી પશુ પંખી ને વૃક્ષ વેલી, હરિપ્રીતમાં પરવશ થયાં ।

સરિતા સર3 ને નાગ4 નગ5 જે, સ્નેહમાં સંકુલાઈ6 રહ્યાં ॥૪॥

ગાયો ગોપી ને ગોવાળીએ, હરિ આત્માથી અધિક કર્યા ।

સ્નેહ બાંધ્યો પ્રેમ વાધ્યો, પ્રીત રીત અતિ આચર્યા ॥૫॥

મીનનું જીવન જળ જોને, જેમ ચકોર સ્નેહી ચંદ છે ।

તેમ વ્રજ જુવતીનું જીવન જાણો, શ્રી નંદજીનો નંદ છે ॥૬॥

જેમ મોરનું મન મળ્યું મેઘશું, જેમ બપૈયો7 સ્નેહી સ્વાંતનો8

તેહ થકી અધિક અંગે, સ્નેહ જુવતી જાતનો ॥૭॥

જેમ અગ્નિને સંગે ઓગળે, મીણ માખણ ને ઘણું ઘૃત ।

તેમ કૃષ્ણ મળે મન ગળે, અને ટળે તે તનસૂધ9 તરત ॥૮॥

જેહ નયણે નિરખે નાથને, તેનું હાથ હૈયું કેમ રહે ।

તે લાજ તજે કૃષ્ણ ભજે, એવી સ્નેહમૂર્તિ છે સુખમહે10 ॥૯॥

નટવર નાગર સુખ સાગર, મનોહર મૂર્તિ મદનજી11

નિષ્કુળાનંદ ગોવિંદ છબી, સુખ તણું જો સદનજી12 ॥૧૦॥ કડવું ॥૨॥

કડવું 🏠 home