સ્નેહગીતા

કડવું ૧૮

વનિતાને વેદના વ્યાપી વિયોગનીજી, પણ વીતે પંડ્યને વણ રોગે રોગનીજી ।

કરે અતિ ઝંખના શ્યામ સંયોગનીજી, ભૂલી ગઈ ભામિની ભવવૃત્તિ વૈભોગનીજી1 ॥૧॥

ભવ વૈભવની ભૂલી વૃત્તિ, જેની સુરતિ2 લાગી લાલશું ।

રહે ઉદાસી થઈ નિરાશી, મન મોહે નહિ ધન માલશું ॥૨॥

જેહનું પ્રીતે ચિત્ત ચોરાણું, અને ઇશક લાગી જેના અંગમાં ।

તેનું માશૂક3 વિના મન બીજે, રાચ્યું નહિ કોઈ રંગમાં ॥૩॥

બોલ્યું ન ગમે બીજું તેહને, પ્રીતમના ગુણ ગાન પખી ।

અન્ય કથા કાને સુણતાં, દાઝે દલ ને થાય દુઃખી ॥૪॥

જેમ મીનને નેક નીર વિના, વળી ક્ષીરે ક્ષણું સુખ નવ વળે ।

તેમ પ્રેમી જનને પિયુ વિના, અન્ય ઉપાયે અંતર જળે ॥૫॥

જેનું પ્રેમબાણે પ્રાણ પ્રોયું,4 ભાવભલકે5 ભીતર ભેદિયું ।

તેહને તે જંપ ક્યાંથી હોય તનમાં, જેનું રંગ ને રૂપ છેદિયું ॥૬॥

ફરે ઊદાસ મૂકે નિશ્વાસ, પાસે નથી પિયુ જેહને ।

ઉન્મત્તવત ગતિ હોયે અંગની, અન્ય જન ન જાણે તેહને ॥૭॥

એવા ભાવને પામી અબળા, હરિ વિયોગે વળી વિરહણી ।

પિયુ પિયુ પોકાર કરતાં, વણદીઠે પ્રીતમ વિલખે ઘણી ॥૮॥

લોહી માંસ ને લાલી મુખની, હરિ જાતાં એટલું હરિ ગયા ।

અસ્થિ ત્વચા ને પ્રાણ પ્રેમીનાં, વળતાં તનમાં તે રહ્યાં ॥૯॥

પ્રાણને પિયુ વિયોગે, પ્રેમી ન રહે રાખીને ।

નિષ્કુળાનંદના નાથને, જાણું જોશું ક્યારે કરી ઝાંખીને ॥૧૦॥ કડવું ॥૧૮॥

કડવું 🏠 home