સ્નેહગીતા

કડવું ૧૪

આ વૃદ્ધ સઘળાની મત1 વામી2 ગઈજી, નંદ યશોદાની અકલ કાંઈ ન રહીજી ।

શું એને આપણે સમઝાવિએ કહીજી, એણે કોઈ વિચાર અંતર કર્યો નહીજી ॥૧॥

વિચાર ન કર્યો વ્રજવાસીએ, તેમ વિઘ્ન પણ કોઈ નવ પડ્યું ।

કેમ કરી રહે કૃષ્ણ બાઈ, અપરાધ આપણું આવી નડ્યું ॥૨॥

આ સમે કોઈ મરે અચાનક, તો કૃષ્ણ રહે તેહ કારણે ।

મોડાં વે’લા મરશે ખરા પણ, આજ મરે તો જાઉં વારણે3 ॥૩॥

અન્ય ઉપાયે અલબેલડો, વળી નથી રે’વા કોઈ રીતડી ।

અહો બાઈ અભાગ્ય આપણાં, પિયુ ત્રોડી ચાલ્યા પ્રીતડી ॥૪॥

આ જો રથે બેઠા રસિયો, વળી ખેડાવિયો4 પણ તે ખરો ।

ધ્રોડો બાઇ જાઈએ ધાઈ, વનિતા વિલંબ જો મા કરો ॥૫॥

બાઈ રોકી રાખીએ રથને, વળી વા’લાને પાછા વાળીયે ।

સાન કરીને કહીયે હરિને, પિયુ પ્રીત તો નવ ટાળિયે ॥૬॥

એમ ટોળે મળો વીંટી વળો, મેલી માનિની મરજાદને ।

જીવન જાતાં નથી ખમાતું, મર લોક કરે અપવાદને ॥૭॥

મર જણાયે આ જગતમાંહે, હવે શીદને શાન્તિ રાખશું ।

છાનું છે તે મર થાય છતું, આજ નેક5 ઉઘાડું નાખશું ॥૮॥

નિંદક જન મર નિંદા કરે, વળી દુરિજન મર દાઝતાં ।

કૃષ્ણ ધણી મારો કૃષ્ણ ધણી, એમ કે’શું મુખે ઘણું ગાજતાં ॥૯॥

લોક મળી વળી ચળી6 કે’શે, તે તો સાંભળી રે’શું શ્રવણે ।

પણ નિષ્કુળાનંદના નાથની, બાઈ ખોટ્ય ન ખમાયે આપણે ॥૧૦॥ કડવું ॥૧૪॥

કડવું 🏠 home