સારસિદ્ધિ

પદ – ૧

રાગ: રામગ્રી

નિર્ભય ચરણ છે નાથનાં, સેવો શ્રદ્ધાએ સંત ।

અવર1 ઉપાય અળગા કરી, સમજો સાર સિદ્ધાંત... નિર્ભય૦ ॥૧॥

સુણી સુખ લોકાલોકનાં, શીદ કરો છો શોચ ।

એ તો ઉદંબરે2 ફળ વળગ્યાં, થડ થકી તે ટોચ... નિર્ભય૦ ॥૨॥

એમ વળગ્યાં વિષય પાંચમાં, નર સુર અજ ઈશ ।

અધિક ન્યૂન એમાં નથી, રવિ શશી સુરેશ... નિર્ભય૦ ॥૩॥

માટે ઊંડું વિચારી અંતરે, ખરી કરવી ખોળ્ય ।

નિષ્કુળાનંદ પ્રભુપદ પખી, જ્યાં જ્યાં જાય ત્યાં રોળ3... નિર્ભય૦ ॥૪॥

 

કડવું - ૫

રાગ: ધન્યાશ્રી

એ તો કેને અંતરે નથી વૈરાગ્યજી, જેણે કરી થાય તનસુખ ત્યાગજી ।

એક હરિચરણે હોય અનુરાગજી, એવા તો કોઈક સંત સુભાગજી ॥૧॥

રાગ: ઢાળ

સંત સુભાગી સરસ સહુથી, જેના અંતરમાં નિરવેદ4

સુણી સુખ સર્વે લોકનાં, જેનું નથી પામતું મન ખેદ5 ॥૨॥

ઊંડું વિચારી અંતરમાં, જોઈ લીધું જીવમાં જરૂર ।

વિષય સારુ સહુ વલખાં, કરે છે સુર અસુર ॥૩॥

વૈરાગ્ય વિના વિષય સુખનો, તર્છટ6 ન થાયે ત્યાગ ।

ત્રોડી પાડે પિંડ બ્રહ્માંડથી, એવો તો એક વૈરાગ્ય ॥૪॥

વૈરાગ્યવાન વિલસે નહિ, માયિક સુખની માંઈ ।

શૂન્ય સુમન7 સમ સમજી, ગંધ સુગંધ ન માને કાંઈ ॥૫॥

જે નિર્વેદ નિધિ8 નરનું, જેવું કરી દિયે છે કામ ।

તેવું ન થાય કહું કોઈથી, શું લખું ઘણાનાં નામ ॥૬॥

જેમ મળે એક ચિંતામણિ, ઘણી અગણિત વસ્તુનું ઘર ।

તેમ શુદ્ધ વૈરાગ્ય શિરોમણી, નથી એથી બીજું કાંઈ પર ॥૭॥

સર્વે સુખની સંપત્તિ, વસી રહી વૈરાગ્યમાંઈ ।

મોટે ભાગ્યે જો આવી મળે, તો ન રહે કસર કાંઈ ॥૮॥

વૈરાગ્યવાનને વિપત શાની, જે સમજ્યા સાર અસાર ।

જેમ તુંબું9 બોળે કોઈ તોયમાં,10 પણ નીસરી જાયે નીર બા’ર ॥૯॥

વૈરાગ્ય વિના તો વાત ન બને, શુદ્ધ સાચું ન લેવાય સુખ ।

નિષ્કુળાનંદ નિરવેદ વિના, આદિ અંતે મધ્યે દુઃખ ॥૧૦॥

કડવું 🏠 home