સારસિદ્ધિ

કડવું - ૪૬

કથી નથી કે’વાતી વણ જાણે વાતજી, કે’શે કોઈ સંત જે જાણે છે સાક્ષાતજી

બીજા બહુને છે એ વાત અખ્યાતજી,1 દીઠા ભેટ્યા વિના ભાખશે કોણ ભાતજી2

કોણ ભાતે નર ભાખશે, જેને સ્વપ્ને પણ સંબંધ નથી ॥

અટકળ અનુમાન કરી, મોટા મોટા મરે છે મથી ॥૨॥

કોઈ કહે હજાર હાથ હરિને, કોઈ કહે આઠ ચાર કર છે ॥

કાનનું સુણ્યું સહુ કહે, પણ ખરી કાંઈ ખબર છે? ॥૩॥

કોઈ કહે હરિ અરૂપ છે, કોઈ કહે તેજોમય તન ॥

કોઈ કહે વિશ્વમાંહિ વ્યાપી રહ્યા, કોઈ કહે આ બોલે વચન ॥૪॥

કોઈ કહે પ્રભુને પરછાયો નહિ, કોઈ કહે ન ધરા ધરે પાવ3

દીઠા વિના આપ ડા’પણે, અમથા કરે છે ઉઠાવ4 ॥૫॥

પણ જાણો હરિને બે હાથ છે, બે પાવલિયા5 છે પુનિત ॥

શ્રવણ નયન નાસિકા, મુખે બોલે છે રૂડી રીત ॥૬॥

જમે રમે નિજજન ભેળા, લિયે દિયે પૂજા જે દાસ ॥

હસે વસે સેવક સંગે, અલબેલો આપે અવિનાશ ॥૭॥

સાકાર સુંદર મૂરતિ, સુખદાયી સહજાનંદ ॥

તેને જાણ્યા વિના જડમતિ, નિરાકાર કહે નર મંદ ॥૮॥

સવળું અવળું સમજી, પાડી આંટી ઘાટી6 ઉરમાંય ॥

ઘૂંચાણા7 ઘણી ઘૂંચવણીમાં,8 પડ્યું નહિ પાધરું9 કાંય ॥૯॥

પૂઠ્ય દઈ પૃથ્વીનાથને,10 ચોડ્યું ચિત્રામણમાંય ચિત્ત ॥

નિષ્કુળાનંદ પ્રગટ મૂકી, કરી આળ પંપાળશું11 પ્રીત ॥૧૦॥

કડવું 🏠 home