સારસિદ્ધિ

કડવું - ૩૯

એવા શુદ્ધ સંતનો સુખદાયી સંબંધજી, જેણે કરી છૂટે ભારી ભવબંધજી

માયિક સુખનો નવ રહે ગંધજી, ઊઘડે અનુભવ આંખ્ય ન રહે અંધજી

આંખ્ય ઊઘડે અનુભવની, તે તો સાચા સંત જનને સંગે ॥

ઊતરે મેલ માયાતણો, ચિત્ત રંગાઈ જાય હરિને રંગે ॥૨॥

તે સંત મળેલ શ્રીહરિના, પ્રભુ પ્રગટના પ્રમાણ ॥

જે અર્સપર્સ પામી પૂરણ છે, સહુ સમજી લેજો સુજાણ ॥૩॥

જેમ પારસ સ્પર્શે લોહને, તેમાં લોહપણું લેખવું નહિ ॥

એ સાંગોપાંગ સુવર્ણ છે, આકારે અન્ય દેખવું નહિ ॥૪॥

તેમ જે સંતને સ્પર્શ્યા શ્રીહરિ, તે સંત એ સર્વે શુદ્ધ છે ॥

એમાં અન્ય ભાવ આણવો નહિ, એ જ સારી સુબુદ્ધ છે ॥૫॥

જેમ ચંદન વાસે વૃક્ષ બીજાં, ચંદન સરિખાં થાય છે ॥

તેમ શ્રીહરિના સંબંધથી, સંત કલ્યાણકારી કે’વાય છે ॥૬॥

જેમ જાહ્નવીજળ1 જળ ગ્રામનું, સ્પર્શીને કરે છે પાવન ॥

તેમ પ્રગટ પ્રભુના સ્પર્શથી, જાણો જાહ્નવીરૂપ2 હરિજન ॥૭॥

એવા સંતને સંબંધે, દોષ કલંક થાય છે દૂર ॥

શુદ્ધ થઈ જન સર્વે અંગે, પોં’ચે હરિ સમીપે હજૂર ॥૮॥

સંત બહુ બીજા સંસારમાં, તેને તોલે રખે3 ત્રેવડો4 તમે ॥

હંસ ને બક બરોબર બેઉ, સમજવા નહિ કોઈ સમે ॥૯॥

જેમ ચક્રવર્તી ભૂપાળ બાળને, ગરીબ કંગાલ ગણવો નહિ ॥

નિષ્કુળાનંદ એ નરેશ છે, ભૂલે બીજો ભણવો નહિ ॥૧૦॥

કડવું 🏠 home