ભક્તિનિધિ

કડવું – ૪૩

રાગ: ધન્યાશ્રી

દૂર ન રહે એવા જનથી દયાળજી, રાત દિન રાખે એની રખવાળજી ।

જેમ જનની નિત્ય જાળવે બાળજી, એમ અતિ કૃપા રાખે છે કૃપાળજી1 ॥૧॥

રાગ: ઢાળ

કૃપાળ એમ કૃપા કરી, સમે સમે કરે છે સંભાળના ।

નિત્યે નજીક રહી નાથજી, પળે પળે કરે છે પ્રતિપાળના2 ॥૨॥

ખાતાં પીતાં સૂતાં જાગતાં, ઘણી રાખે છે ખબર ખરી ।

ઊઠતાં બેસતાં ચાલતાં, હરે છે સંકટ શ્રીહરિ ॥૩॥

નર અમર મનુજાદથી,3 રક્ષા કરે છે રમાપતિ ।

ભૂત ભૈરવ ભવાનીના ભયને, રાખે છે તે રોકી અતિ ॥૪॥

અંતરશત્રુ ન દિયે કેદી ઉઠવા, નિશ્ચે કરીને નિરધાર ।

નિજભક્ત જાણીને નાથજી, વા’લો વે’લી કરે વળી વા’ર4 ॥૫॥

પોતાને પીડા જો ઉપજે, તેને ગણે નહિ ઘનશ્યામ ।

પણ ભક્તની ભીડ્ય5 ભાંગવા, રહે છે તૈયાર આઠું જામ6 ॥૬॥

દેખી ન શકે દુઃખ દાસનું, અણું જેટલું પણ અવિનાશ ।

માને સુખ ત્યારે મનમાં, જ્યારે ટાળે જનના ત્રાસ ॥૭॥

સાચા ભક્તની શ્રીહરિ, સદા સર્વદા કરે છે સહાય ।

તે લખ્યાં છે લક્ષણ ભક્તનાં, હરિએ હરિગીતા માંય ॥૮॥

એવા ભક્તના અલબેલડો, પૂરે છે પૂરણ કોડ ।

તેહ વિનાના ત્રિશંકુ જેવા, રખે રાખો દલે કોઈ ડોડ ॥૯॥

એક ભેરવજપ બીજી ભગતિ, તે અણમણતાં7 ઓપે8 નહિ ।

નિષ્કુળાનંદ નક્કી વારતા, જે કે’વાની હતી તે કહી ॥૧૦॥

કડવું 🏠 home