ભક્તિનિધિ

પદ – ૧૦

રાગ: પરજ

જ્યાન ન કરવું જોઈએ રે સંતો જ્યાન૦,

  અતિ અંગે ઉન્મત્ત1 હોઈ રે; સંતો૦ ॥ ટેક .

જો જાયે જાવે2 તો કરીયે કમાણી, સાચવી લાવિયે સોઈ ।

નહિ તો બેસી રહિયે બારણે, પણ ગાંઠની ન આવીએ ખોઈ રે; સંતો૦ ॥૧॥

જો ડૂબકી દિયે દરિયામાં, મોતી સારુ મને મોહી ।

તો લાવિયે મુક્તા3 મહામૂલાં, પણ નાવિયે દેહ ડબોઈ4 રે; સંતો૦ ॥૨॥

જો જાયે જળ જાહ્નવી5 ના’વા, તો આવીયે કિલબિષ6 ધોઈ ।

પણ સામુ ન લાવિયે સમઝી, પાપ પરનાં તે ઢોઈ7 રે; સંતો૦ ॥૩॥

તેમ ભક્ત થઈને ભક્તિ કરિયે, હરિચરણે ચિત્ત પ્રોઈ8

નિષ્કુળાનંદ કે’ નર ઘર મૂકી, ન જીવીએ જનમ વગોઈ9 રે; સંતો૦ ॥૪॥ પદ ॥૧૦॥

 

કડવું – ૪૧

રાગ: ધન્યાશ્રી

જીવત વગોઈને જીવવું એ જૂઠુંજી, એ તો થયું જેમ મા’ મહિને માવઠુંજી10

વિવાયે11 વે’ચાણી12 લાણીમાં13 એલઠુંજી,14 એહમાંહી સારું શું કર્યું એકઠુંજી ॥૧॥

રાગ: ઢાળ

સારું તે એણે શું કર્યું, પાણી મળે ન ધોયો મેલ ।

જેમ ગીંગો15 ગયો ગંગાજીએ, નાકે દુર્ગંધીનો ભરેલ ॥૨॥

તેમ ભક્તિમાં કોઈ આવી ભળ્યો, પણ ન ટળ્યો જાતિ સ્વભાવ ।

પાકી મૃત્તિકાના પાત્રનો, નહિ ઠામ થાવા ઠેરાવ ॥૩॥

જેમ સિંધુ જોજન સો લાખનો, તેનો પાર લેવા કરે પરિયાણ16

તે સમઝુ કેમ સમઝિયે, જે રાચ્યો17 રાંધવા પાષાણ ॥૪॥

એમ એવાને આગળે, ભોળા કરે ભક્તિની વાત ।

જેની દાઢ્યો ડાળ્યો ચાવી ગઈ, તે કેમ રે’વા દિયે પાત18 ॥૫॥

એવાને ઉપદેશ દેવો, એવો કરવો નહિ કેદિ કોડ ।

જે એ ભક્તિ અતિ ભજાવશે,19 એવો દિલે ન રાખવો ડોડ20 ॥૬॥

એમ ભાવ વિનાની ભગતિ, નર કરી શકે નહિ કોય ।

ભક્તિ કરશે ભારે ભાગ્યવાળા, જે ખરા ખપવાન હોય ॥૭॥

જેના હૃદિયામાં રુચિ ઘણી, ભક્તિ કરવા ભગવાનની ।

તેને ભક્તિ વિના ભાવે નહિ, ખરી અરુચિ રહે ખાનપાનની ॥૮॥

ભક્તિ વિના બ્રહ્મલોક લગી, લલચાવે નહિ ક્યાંઈ મન ।

રાત દિવસ રાચી21 રહે, સાચા કે’વાય તે હરિજન ॥૯॥

પ્રગટ પ્રભુની ભક્તિ વિના, જેને પળ કલપ22 સમ થાય ।

નિષ્કુળાનંદ એવા ભક્તને અર્થે, હરિ રહે જુગજુગ માંય ॥૧૦॥

કડવું 🏠 home