ધીરજાખ્યાન
કડવું – ૪૦
જેને ઉપાય કરવો હોય એહજી, તેને થાવું સહુથી નિઃસનેહજી
જેમ વરત્યા જનક જેહજી, કરતાં રાજય કે’વાણા વિદેહજી1
વિદેહ કહેવાણા તે સાંભળી, ત્યાં આવ્યા નવ ઋષિરાય2 ॥
ઊઠ્યા જનક ભેટ્યા સહુને,3 ઘણે હેતે ઘાલી હૈયામાંય ॥૨॥
પછી મળ્યા એક એકને, તેની પૂછી ઋષિયે વાત ॥
અમે ન સમજ્યા આ મર્મને, તમે સમઝાવો સાક્ષાત ॥૩॥
ત્યારે જનક કહે આ દેહનો, નથી પળ એકનો વિશ્વાસ ॥
મળાય કેમ આ મુનિને, જ્યારે થઈ જાય તન નાશ ॥૪॥
એમ કહીને પૂજા કરી, ભાવે કરાવ્યાં ભોજન ॥
પછી બેઠા સભા કરીને, પૂછ્યાં રૂડાં પ્રશન ॥૫॥
ત્યાં મિથિલાપુરી પરજળી,4 ધાયાં સહુ સહુને ઘેર લોક ॥
જનક કહે મારું નથી જળતું,5 શાને કરું હું મને શોક ॥૬॥
રાજ સાજ સુખ સંપત્તિ, વળી દેહ ગેહ દારા દામ ॥
એહ કોણ કેનાં કોણ આપણે, કોઈ કેને ન આવે કામ ॥૭॥
અણ સમઝણે આપણું, સહુ માની રહ્યા મનમાંય ॥
જુવે વિચારી જીવમાં, તો નથી આપણું કાંય ॥૮॥
એમ રાજ્યમાં રહી રાગ તજ્યો, એ છે લક્ષ6 લેવા જેવો ઘણો ॥
તુચ્છ પદાર્થ સારુ તણાવું, એવો જોઈએ નહિ મત આપણો ॥૯॥
ખાવા ખટરસ7 નરેશ સુતને, તોય ડોડાં દેખી ડગે દલ ॥
નિષ્કુળાનંદ એ કંગાલ છે, નથી આવ્યો રાજાનો અમલ8 ॥૧૦॥