નિષ્કુળાનંદ કાવ્ય
સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીના કાવ્યસંગ્રહમાં ૨૨ નાના ગ્રંથો સમાયા છે, જેવા કે પુરુષોત્તમ પ્રકાશ, સ્નેહગીતા, વચનવિધિ, સારસિદ્ધિ, ભક્તિનિધિ, હરિબળગીતા, હૃદયપ્રકાશ, ધીરજાખ્યાન, હરિસ્મૃતિ, ચોસઠપદી, મનગંજન, ગુણગ્રાહક, હરિવિચરણ, અરજીવિનય, કલ્યાણનિર્ણય, અવતાર ચિંતામણિ, ચિહ્ન ચિંતામણિ, પુષ્પ ચિંતામણિ, લગ્ન શકુનાવલી, યમદંડ, વૃત્તિવિવાહ અને શિક્ષાપત્રી ભાષા. બધા જ ગ્રંથો અમૂલ્ય છે. પુરુષોત્તમ પ્રકાશમાં શ્રીજીમહારાજનો સર્વોપરી મહિમા કહ્યો છે. પ્રકાર ૪૧, ૪૨માં સંત દ્વારા પ્રકટપણાની વાત પ્રસિદ્ધ છે.
સંત હું ને હું તે વળી સંત રે, એમ શ્રીમુખે કહે ભગવંત રે;
સંત માનજો મારી મુરતિ રે, તેમાં ફેર નથી એક રતિ રે.
(પ્ર. ૪૧)
કહ્યું બહુ પ્રકારે કલ્યાણ રે, અતિ અગણિત અપ્રમાણ રે;
પણ સહુથી સરસ સંતમાં રે, રાખ્યું વાલમે એની વાતમાં રે.
(પ્ર. ૪૨)
સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીના ગ્રંથો વાંચીએ ત્યારે અંતરમાં પ્રતીતિ થાય છે કે ગુણાતીત સંતને યથાર્થ સ્વરૂપે ઓળખી, આવો સ્પષ્ટ મહિમા લખી, સાચા સંતને ઓળખવાની દૃષ્ટિ એમણે આપણને આપી છે.